ડૉક્ટરો પર હુમલો કરનારા શિવસેનાના નગરસેવક જામીન પર છૂટીને ગોવા પહોંચ્યા

10 August, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જામીન મળ્યા બાદ શરત મુજબ મહારાષ્ટ્રની બહાર રહેવા ગોવાને કર્યું પસંદ

રમેશ મ્હાત્રે.

ડોમ્બિવલીમાં મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ડૉક્ટરો અને નર્સ પર હુમલો કરવાના કેસમાં જેલમાં જનારા શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેના જામીન મંજૂર થયા ત્યાર બાદ તે ગોવામાં છે. જામીનની શરતો મુજબ મહારાષ્ટ્રની બહાર રહેવું ફરજિયાત હોવાથી તેમણે ગોવા જવાનું પસંદ કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા ત્યાર બાદ રમેશ મ્હાત્રે કલ્યાણની આધારવાડી જેલમાંથી શનિવારે છૂટ્યા હતા. તેમના વિરુદ્ધની કોર્ટ કાર્યવાહીને ફાસ્ટ ટ્રૅક કરવાની અને સમયસર પૂરી કરવાનો આદેશ પણ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો હતો. 

મળેલી માહિતી મુજબ રમેશ મ્હાત્રે આ જ કેસના તેમના ત્રણ સહ-આરોપી સાથે ગોવાના અંજુના બીચ નજીક રહેશે. રમેશ મ્હાત્રેએ પણ આ બાબતે પોતાનું નિવેદન આપતાં કહ્યું હતું કે આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને મને કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ છે. કોર્ટ જે પણ ફેંસલો કરશે અેને હું સંપૂર્ણપણે સ્વીકારીશ. 

 હાઈ કોર્ટે આ મામલે કહ્યું હતું કે કોર્ટ આ કેસમાં ટ્રાયલ કોર્ટ આરોપી વિરુદ્ધ આરોપો ઘડે ત્યારે જ મહારાષ્ટ્ર પાછા આવી શકશે. ત્યાં સુધી આરોપી સાક્ષીઓનો સંપર્ક નહીં કરે અને કોઈ પુરાવા સાથે ચેડાં નહીં કરે. 

mumbai news mumbai dombivli kalyan dombivali municipal corporation shiv sena