18 September, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
સંગઠિત શિવસેનાના ૨૦૨૨માં ભાગલા પડ્યા ત્યારથી ધનુષબાણ તથા શિવસેના નામના ઉપયોગના મુદ્દે ચાલતી કાયદાકીય લડતની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાન્ત, જૉયમાલા બાગચી તથા વી. મોહનાની ડિવિઝન બેન્ચે ઇલેક્શન કમિશન (EC)ની પણ ઝાટકી હતી. ECએ શા માટે ધનુષબાણ અને શિવસેના નામ એક જ પક્ષ (એકનાથ શિંદેના પક્ષની શિવસેના)ને ફાળવ્યું, છૂટા પડેલા બન્ને પક્ષને શિવસેનાનું નામ તથા એનું ધનુષ્યબાણ ઉપયોગમાં ન લેવાનો નિર્ણય શા માટે ન લેવાયો એવો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે પૂછ્યો હતો. એક પક્ષને નામ અને નિશાન આપ્યું હોવાથી તેમને લાભ થયો હોવાનું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું.
ECએ નિષ્પક્ષ કામગીરી ન કરીને એક પક્ષને શિવસેના પાર્ટીનું ખરું નામ અને નિશાન ઉપયોગમાં લેવાની પરવાનગી આપી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. આમ ન કરતાં EC કોઈ પણ પક્ષને શિવસેના નામ કે એનું ધનુષબાણ ન વાપરતાં પોતાના બળે ચૂંટણી લડવાનો નિષ્પક્ષ રસ્તો અપનાવી શક્યું હોત એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. ખરા પક્ષના નામ કે નિશાનનો ઉપયોગ કર્યા વિના બાળાસાહેબના નામના બળે ચૂંટણી લડવાને બદલે બન્ને પક્ષ પોતપોતાના બળે ચૂંટણી લડી શક્યા હોત એવું નિરીક્ષણ સુપ્રીમ કોર્ટે કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ મામલે શિવસેના (UBT) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરતી વખતે સુપ્રીમ કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત જ્યારે ડિસક્વૉલિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે વિધાનસભામાં વિધાનસભ્યોની તાકાત કેટલી છે એ વાત નિર્ણયાત્મક બની શકે કે નહીં એ સ્પષ્ટ કરવાનું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.