25 July, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન અહિર
શિવસેનાના વિધાનસભ્ય સચિન અહિરના વરલીસ્થિત ઘરમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં ૨.૬૫ કરોડ રૂપિયાની કીમતી વસ્તુઓની ચોરી થઈ છે એમ તેમના પુત્ર ક્રિષ્નાએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે. ચોરાયેલી વસ્તુઓમાં ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કિટ, હીરાજડિત સોનાની બંગડીઓ, હીરાજડિત સોનાનો પટ્ટો, હીરાના પાંચ હાર, હીરાની વીંટીઓ, ચાંદીનાં ચશ્માં, ચાંદીનાં વાસણો અને કેટલીક રોકડ રકમનો સમાવેશ થાય છે.
પોલીસતપાસ બાદ સચિન અહિરના ઘરમાં બે દાયકાથી કામ કરતા પ્રવીણ સોલંકી નામના નોકરની ધરપકડ કરવામાં આવી છે. તેણે વેચી દીધેલા અમુક દાગીના પોલીસે મુંબઈના એક ઝવેરીની પાસેથી જપ્ત કર્યા હતા. આ કેસમાં કુલ ૩૨૫ ગ્રામ સોનું પાછું મેળવી શકાયું છે.
પાંચ વર્ષમાં ધીમે પગલે થઈ ચોરી
ક્રિષ્નાએ દાવો કર્યો હતો કે ૨૦૨૫ની ૧૩ ઑક્ટોબરે શૉર્ટ સર્કિટને કારણે ઘરમાં આગ લાગ્યા બાદ પરિવાર શરૂઆતમાં માનતો હતો કે ઘરના ખર્ચ માટે ઉપાડવામાં આવેલી રોકડ આગમાં નાશ પામી છે. એ માટે CCTV કૅમેરાનાં ફુટેજની સમીક્ષા કરતાં તેમને જાણવા મળ્યું કે રેકૉર્ડિંગના કેટલાક ભાગ ગાયબ હતા. એનાથી શંકા થઈ એટલે તપાસ કરતાં જણાયું કે તેમના ઘરના ૪ નોકરોએ છેલ્લાં પાંચ વર્ષમાં વ્યવસ્થિત રીતે રોકડ, સોનાના દાગીના અને અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરી હોવાનો ક્રિષ્નાએ દાવો કર્યો હતો.