યેઉરમાં ત્રણ દિવસમાં ત્રણ વાનર પર તીરથી હુમલો

24 March, 2026 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોક્કસ પૅટર્નથી વાનરોને ટાર્ગેટ કરાતા હોવાની શંકા, કડક કાર્યવાહીની માગણી

વાનરને મારવામાં આવેલું તીર.

રવિવારે સાંજે સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ની યેઉર રેન્જમાં એક વાનરના મોઢામાં ૨.૭ ફુટ લાંબું તીર ઘૂસી ગયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં વાનરો પર તીરથી અટૅક થવાની આ ત્રીજી ઘટના છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રામબાગના એક મંદિરની ટોચ પર સવારે ૧૧.૩૦ વાગ્યે મોઢામાં તીર ઘૂસી ગયું હોય એવો વાનર જોવા મળ્યો હતો. લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ ટીમને આ વિશે જાણ કરી હતી.

રેસ્ક્યુઇન્ક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW) અને વન વિભાગની સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ વાનર તેના જૂથમાં જ રહ્યો હોવાથી કામગીરીમાં વિલંબ થયો હતો. જૂથનો લીડર વાનર ઘાયલ વાંદરાની રક્ષા કરી રહ્યો હતો અને જૂથના અન્ય વાનરો એની આસપાસ જ રહેતા હોવાથી એને બચાવવાનું અઘરું બન્યું હતું. છેક સાંજે ૬.૩૦ વાગ્યે વાંદરાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

શુક્રવારે આ જ વિસ્તારમાં વાંદરાની પીઠ પર તીર વાગ્યું હોવાનો બનાવ બન્યો હતો જેને બચાવીને સારવાર આપવામાં આવી હતી, જ્યારે તીર વાગેલી હાલતમાં મળેલા બીજા વાનરને પકડી શકાયો નહોતો.

વન વિભાગે આ માટે જવાબદાર વ્યક્તિ કે જૂથને શોધવા CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસવાનું શરૂ કર્યું છે તેમ જ ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકને આ મામલે કડક તપાસના આદેશ આપવાની માગણી ઍનિમલ ઍક્ટિવિસ્ટોએ કરી છે. 

mumbai news mumbai sanjay gandhi national park borivali wildlife Crime News mumbai crime news maharashtra forest department