15 June, 2026 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને તેમના પક્ષના સંસદસભ્યો.
શિવસેના (UBT)ના સંસદસભ્યો નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંપર્કમાં હોવાથી બળવો કરીને શિવસેનામાં સામેલ થઈ જશે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલુ થતાં રવિવારે ઉદ્ધવ ઠાકરેએ તેમના તમામ ૯ સંસદસભ્યોને તેડું આપ્યું હતું. એમાંથી ૪ સંસદસભ્યો ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા, જ્યારે પાંચ સંસદસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સાથે ઑનલાઇન વાતચીત કરી હતી. હાલમાં જ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના સંસદસભ્યોએ બળવો કરીને પક્ષ છોડ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) સાથે પણ TMCવાળી થઈ શકે એવી શક્યતા વર્તાઈ રહી હતી. જોકે બધું હેમખેમ હોવાનું જણાવતાં ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ મનાતા રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે અમે જ ટાઇગર છીએ. આમ કહીને ઑપરેશન ટાઇગર જેવું કંઈ નહીં થાય એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શિવસેના (UBT)ના વિધાનસભ્યો અને સંસદસભ્યોને શિવસેનામાં સામેલ કરવાની કૂટનીતિને ‘ઑપરેશન ટાઇગર’ કહેવાય છે અને ગૃહપ્રધાન અમિત શાહ આ ઑપરેશન ચલાવતા હોવાની વાતો રાજકીય વર્તુળોમાં થતી આવી છે.
છેલ્લા થોડા મહિનાઓમાં શિવસેના (UBT)ના અમુક સંસદસભ્યો એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેને મળ્યા હોવાથી તેઓ પક્ષપલટો કરે અને ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને એકનાથ શિંદેની સાથે ભળી જશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
અરવિંદ સાવંત, રાજાભાઉ વાઝે, સંજય દીના પાટીલ અને અનિલ દેસાઈ માતોશ્રીમાં જઈ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા; જ્યારે સંજય દેશમુખ, ભાઉસાહેબ વાકચુરે, ઓમરાજે નિંબાળકર, નાગેશ અષ્ટિકર અને સંજય જાધવ ઉદ્ધવ ઠાકરેને મળવા આવી ન શક્યા હોવાથી ફોન પર વાતચીત કરી હતી.