આવું જ કરવું હોય તો ઇલેક્શનને બદલે સિલેક્શન કરીને વાત પૂરી કરો

16 October, 2025 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણી આયોગે વિરોધ પક્ષોના દાવા માન્ય ન રાખ્યા એટલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું...

ગઈ કાલે રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સહિતના નેતાઓ એકસાથે ચૂંટણી-કમિશનરની ઑફિસમાં ગયા હતા

ઠાકરે બંધુઓ, કૉન્ગ્રેસ અને NCPના નેતાઓ એકસાથે ઇલેક્શન કમિશનરને મળ્યા, મતદારયાદીમાં ગોટાળાના આરોપ મૂક્યા

ગઈ કાલે રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સહિતના નેતાઓ એકસાથે ચૂંટણી-કમિશનરની ઑફિસમાં ગયા હતા. ત્યાં તેમણે ચીફ ઇલેક્શન કમિશનર એસ. ચોકલિંગમ સાથે મુલાકાત કરી હતી અને ચૂંટણી-પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાથી લઈને મતદારયાદીમાં સુધારાઓ સુધીની અનેક બાબતોની રજૂઆત કરી હતી.

ગઈ કાલે વિરોધ પક્ષોની યુતિ મહા વિકાસ આઘાડી (MVA)એ પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી અને એમાં મહારાષ્ટ્રની મતદારયાદી પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) હજી MVAનો સત્તાવાર ભાગ ન હોવા છતાં આ પ્રેસ-કૉન્ફરન્સમાં રાજ ઠાકરે પણ સામેલ હતા. ઉદ્ધવ અને રાજ ઉપરાંત કૉન્ગ્રેસના બાળાસાહેબ થોરાટ, વિજય વડેટ્ટીવાર અને NCPના જયંત પાટીલ પ્રેસ-કૉન્ફરન્સમાં હાજર હતા.

ઉદ્ધવ ઠાકરે શું કહે છે?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘રાજ્ય અને કેન્દ્રના ચૂંટણી આયોગ કહે છે કે ખામી દૂર કરવાની જવાબદારી તેમની નથી. તમારી સિસ્ટમ જ ખામી ભરેલી છે. જો તમે આવી ભૂલો સાથે જ ચૂંટણીઓ યોજો છો તો-તો ચૂંટણીઓ કરવાની જરૂર જ ક્યાં છે? લિસ્ટમાં મતદારોનાં ડુપ્લિકેટ નામ છે, એક નામના બે-બે ત્રણ-ત્રણ વોટર છે. આ કેવી રીતે સંભવે? આવું જ કરવું છે તો ઇલેક્શનને બદલે સિલેક્શન કરીને વાત પૂરી કરો.’  

રાજ ઠાકરેએ શું કહ્યું?
 
રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘ચૂંટણીપંચ ફક્ત ચૂંટણીઓ કરાવે છે, ખરી ચૂંટણીઓ તો રાજકીય પક્ષો દ્વારા લડવામાં આવે છે. જો ચૂંટણીપંચ રાજકીય પક્ષોને મતદારયાદી જ ન બતાવતું હોય તો એમાં ૧૦૦ ટકા કંઈ ગરબડ થઈ રહી છે.’ એ પછી રાજ ઠાકરેએ ૨૦૨૪ની મતદારયાદીની વિગતો વાંચી સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘૨૦૨૪ પહેલાંનાં નામો વાંચીએ તો ગરબડ દેખાય છે. ઘણા લોકોનાં નામ છે પણ ફોટો નથી. કેટલાક મતદારો ૧૨૪ અને ૧૧૭ વર્ષના છે. અમે રાજ્ય અને કેન્દ્રના ઇલેક્શન કમિશનરને મળ્યા હતા, પરંતુ તેમનું કહેવું હતું કે આ તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી. જો તેઓ અમને મતદારયાદી જ દેખાડવા તૈયાર નથી તો મુલાકાતનો અર્થ શો છે? આ લોકતંત્ર નથી, મજાક છે.’
mumbai news mumbai uddhav thackeray raj thackeray congress bharatiya janata party political news bmc election nationalist congress party