વસઈ-વિરાર કૉર્પોરેશન ગોવિંદાઓને ૧૦ લાખ રૂપિયાનું વીમા-કવચ આપશે

01 August, 2026 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ સ્થળેથી ઉત્સવના આયોજન માટેની તમામ મંજૂરીઓ મળી શકે એ માટે ટૂંક સમયમાં જ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે

ફાઇલ તસવીર

દહીહંડી ઉત્સવને ધ્યાનમાં રાખીને વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા ઉત્સવમાં ભાગ લેનારા ગોવિંદાઓ માટે ૧૦ લાખ રૂપિયાના વીમા-કવચની જાહેરાત કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ ગોવિંદા મંડળોને વીમા-ફૉર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે એને વહેલી તકે વૉર્ડ-ઑફિસ અથવા VVMCના હેડક્વૉર્ટર પર જમા કરાવવાની અપીલ કરવામાં આવી છે, જેથી આ વીમા-યોજનાનો લાભ સુનિશ્ચિત કરી શકાય.

દહીહંડીની તૈયારીઓ વિશે ચર્ચા કરવા માટે યોજાયેલી બેઠકમાં ગોવિંદા પથકના પ્રતિનિધિઓ, ઉત્સવના આયોજકો, પોલીસ વિભાગ, ટ્રાન્સપોર્ટ વિભાગ, મહાવિતરણ (વીજ કંપની) અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે VVMC દ્વારા ૯૯ ગોવિંદા ટીમોના કુલ ૬૬૫૨ ગોવિંદાઓને ૧૦ લાખ રૂપિયા સુધીનું વીમા-કવચ આપવામાં આવ્યું હતું.

vasai virar city municipal corporation vasai virar dahi handi mumbai mumbai news festivals