26 July, 2026 09:52 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામ મંદિર
અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરી બાદ મંદિરની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ૧૫ જુલાઈએ શરૂ કરાયેલું ૧૦ દિવસીય પ્રાયશ્ચિત્ત અને શુદ્ધીકરણ અનુષ્ઠાન શુક્રવારે વૈદિક મંત્રોચ્ચાર, હવન, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા સાથે પૂર્ણ થયું હતું. આ પ્રાયશ્ચિત્ત પૂજન રામ મંદિરના ગર્ભગૃહ, યજ્ઞમંડપ અને પરકોટાના શિવ મંદિરમાં એકસાથે સંપન્ન થયું હતું.
ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે દાનચોરીની ઘટના બાદ ભગવાન શ્રી રામ સમક્ષ ક્ષમાયાચના કરવાની સાથે-સાથે મંદિર પરિસરની આધ્યાત્મિક ગરિમા અને પવિત્રતા જળવાઈ રહે એ માટે આ ૧૦ દિવસીય પ્રાયશ્ચિત્ત અને શુદ્ધીકરણ અનુષ્ઠાનનું
આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પરંપરા અનુસાર મંદિર પરિસરમાં ચોરી કે કોઈ અપવિત્ર ઘટના બને ત્યારે શુદ્ધીકરણ અને પ્રાયશ્ચિત્ત માટે આવાં અનુષ્ઠાનો યોજવામાં આવે છે.
અનુષ્ઠાનના અંતિમ દિવસે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં વૈદિક આચાર્યોના માર્ગદર્શન હેઠળ હવન અને વિશેષ પૂજા યોજાઈ હતી. સમગ્ર અનુષ્ઠાનમાં અયોધ્યા સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અંદાજે ૭૦ વૈદિક આચાર્યોએ ભાગ લીધો હતો. તેમણે વૈદિક મંત્રોચ્ચાર, હવન અને રુદ્રાભિષેક કરાવ્યો હતો; જ્યારે રામલલાના મુખ્ય પૂજારીએ સમગ્ર સમય દરમ્યાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર્યો હતો.