છત્તીસગઢમાં ૧૨ નક્સલી ઢેર, ૩ જવાનો થયા શહીદ

04 December, 2025 08:08 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

ગૃહપ્રધાન અમિત શાહે આ વિસ્તારમાંથી નક્સલવાદને જડમૂળમાંથી ખતમ કરવા માટે ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધીની ડેડલાઇન આપી છે. 

પ્રતીકાત્મક તસવીર

છત્તીસગઢની દંતેવાડા-બીજાપુર બૉર્ડર પર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનોએ બુધવારે એક એન્કાઉન્ટરમાં ૧૨ નક્સલવાદીઓને મારી નાખ્યા હતા. તમામનાં શબ પણ કબજામાં લઈ લીધાં હતાં. આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ઘાયલ થયા હતા. બસ્તર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલે કહ્યું હતું કે ‘એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના હેડ કૉન્સ્ટેબલ મોનુ વડારી, રમેશ સોડી અને કૉન્સ્ટેબલ દુકારુ ગોન્ડે શહીદ થયા હતા. એન્કાઉન્ટરવાળી જગ્યાએથી અત્યાધુનિક બંદૂકો, ૩૦૩ રાઇફલો અને ભારે માત્રામાં ગોળા-બારુદ મળી આવ્યા હતા. એન્કાઉન્ટરની જગ્યાએથી મળેલી વધુ કડીઓના આધારે બીજાં સ્થળોએ છાપામારી કરીને વધુ નક્સલવાદીઓનો ખાતમો કરવાનું ઑપરેશન હજી ચાલુ છે.’ ગૃહપ્રધાન અમિત શાહે આ વિસ્તારમાંથી નક્સલવાદને જડમૂળમાંથી ખતમ કરવા માટે ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધીની ડેડલાઇન આપી છે. 

national news india naxal attack chhattisgarh amit shah indian army