30 December, 2025 10:55 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઘેટાં મૃત અવસ્થામાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વસંતકુંજ પાસે આવેલા રાષ્ટ્ર પ્રેરણા સ્થલના પાર્કિંગમાં ગઈ કાલે સવારે લગભગ ૧૭૦ ઘેટાં મૃત અવસ્થામાં અહીં-તહીં પડેલાં જોવા મળ્યાં હતાં. એ ઉપરાંત ૨૦૦ ઘેટાંની હાલત એટલી ખરાબ છે કે તેઓ હલી પણ નથી શકતા. શંકાસ્પદ સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં ઘેટાંઓનું મૃત્યુ એક રહસ્ય બની ગયું છે. આ ઘેટાં ૪ ભરવાડોનાં છે જેઓ ફતેહપુરથી આવ્યા હતા. ઘેટાના એક માલિકે કહ્યું હતું કે ‘અમારાં ઘેટાંની તબિયત રાતે જ ખરાબ થવાની શરૂ થઈ ગઈ હતી. અમે તેમને દેશી દવા ખવડાવવાની કોશિશ કરી, પણ કંઈ કામ ન આવ્યું. ખૂબ તડપી-તડપીને મારાં ઘેટાં મરી ગયાં.’
કેટલાક લોકોનું કહેવું છે કે ૨૫ ડિસેમ્બરે રાષ્ટ્ર પ્રેરણા સ્થલનો ઉદ્ઘાટન-સમારોહ થયો એ પછી વધેલું ખાવાનું અહીં એમ જ ફેંકી દેવામાં આવેલું. કદાચ એ વાસી અને સડી ગયેલું ભોજન ખાવાથી ઘેટાં મરી ગયાં હશે. પૂરીભાજી જેવા ખાદ્યપદાર્થો ખાવાથી ઘેટાંની તબિયત બગડી હતી એવું કેટલાક ભરવાડોનું કહેવું છે. તો બીજી તરફ કેટલાક લોકો નજીકમાં આવેલા તળાવના પાણીને જવાબદાર ગણાવે છે. નજીકના ખેતરમાં શિંગોડાની ખેતીમાં છાંટવા માટે મોટી માત્રામાં રાસાયણિક દવા તળાવમાં નાખીને એ પાણી છાંટવામાં આવ્યું હતું. કદાચ આ દવાવાળું પાણી પીને ઘેટાંની તબિયત ખરાબ હોઈ શકે છે.
ઘટનાની સૂચના મળતાં જ નગરપાલિકાના ઝોનલ અધિકારી અમરજિત સિંહ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘ઘટનાસ્થળેથી કોઈ ખાવાની ચીજો મળી નથી જેનાથી ખબર પડે કે શું ખાવાથી ઘેટાંનો જીવ ગયો હશે. ઘેટાંના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવશે. એના રિપોર્ટ પછી જ સાચું કારણ ખબર પડશે.’