20 July, 2026 11:23 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામ મંદિર
અયોધ્યામાં રામ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ના પદ માટે લગભગ ૨૩૦૦ અરજીઓ મળી છે અને શૉર્ટલિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે ફક્ત શૈક્ષણિક લાયકાત અને વહીવટીથી કામ ચાલવાનું નથી. ઉમેદવારોનું મૂલ્યાંકન પ્રામાણિકતા, સેવાનો રેકૉર્ડ, નેતૃત્વ-ક્ષમતા, નાણાકીય પારદર્શિતા અને ધાર્મિક-સાંસ્કૃતિક સમજણ જેવા મુદ્દે પણ કરવામાં આવશે.
આ પદ માટે ૧૮ જુલાઈ સુધીમાં અરજી કરવાની હતી અને તમામ અરજી મળી ગયા બાદ હવે ઉમેદવારોનાં નામનું શૉર્ટલિસ્ટિંગ ચાલી રહ્યું છે. CEOની પસંદગી કરવા માટે ૩ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને નવા CEOની પસંદગી અનેક તબક્કામાં કરવામાં આવશે.
નામનું શૉર્ટલિસ્ટિંગ થયા બાદ ઇન્ટરવ્યુના આધારે અંતિમ નામની પસંદગી થશે. CEOએ મંદિરના મૅનેજમેન્ટની જવાબદારી ઉપરાંત યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા, નાણાકીય મૅનેજમેન્ટ અને ટ્રસ્ટની યોજનાઓના સુપરવિઝન જેવી કામગીરી સંભાળવાની રહેશે. મંદિરમાં ભાવિકોની ભીડમાં થઈ રહેલો વધારો અને મંદિરના વિસ્તરણને જોઈને CEO પદનું મહત્ત્વ ઘણું છે.