06 November, 2025 10:08 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ગંગા ઘાટના સામેના કિનારા પર પણ ૩ લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.
દેવદિવાળી નિમિત્તે ગઈ કાલે વારાણસીમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટ્યો હતો. વહેલી સવારથી લોકો કારતક પૂનમનું ગંગાસ્નાન કરવા ઊમટ્યા હતા. સાંજ પડતાં વારાણસીના તમામ ઘાટો પર દીવડાઓની વણજાર સજાવી દેવામાં આવી હતી. ગયા વર્ષે અહીં ૨૦ લાખ દીવડા પ્રગટાવાયા હતા અને આ વખતે ૨૫ લાખ દીવડાની જ્યોતથી કાશીના ઘાટ દીપી ઊઠ્યા હતા. કાશીના દરેક ઘાટ પર અલગ-અલગ થીમ પર કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ હતી. દશાશ્વમેધ ઘાટ પર ‘ઑપરેશન સિંદૂર’ની થીમ હતી તો અસ્સી ઘાટ પર વર્લ્ડ ચૅમ્પિયન વિમેન્સ ક્રિકેટ ટીમને શુભેચ્છા આપતી થીમ હતી. ગંગાઘાટના સામેના છેડા પર પણ ૩ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. કેટલાક ઘાટ પર ગંગાઆરતી પોલીસને સમર્પિત કરવામાં આવી હતી. એક ઘાટ પર દીવડાઓથી I Love Kashi લખવામાં આવ્યું હતું.