14 May, 2026 11:06 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અશોક બહાર
સામાન્ય રીતે ૭૦ વર્ષની ઉંમરે લોકો નિવૃત્ત જીવન માણતા હોય છે, પરંતુ લખનઉના અશોક બહાર માટે આ ઉંમર એક નવા સંઘર્ષની શરૂઆત હતી. દાયકાઓ પહેલાં પોતાની માતાને આપેલું ડૉક્ટર બનવાનું વચન પૂરું કરવા માટે તેમણે મેડિકલનાં ભારે પુસ્તકો સાથે રાતો જાગીને મહેનત કરીને નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર-ગ્રૅજ્યુએટ (NEET-UG)ની પરીક્ષા આપી હતી. જોકે NEET-UG 2026ના પેપર-લીક કાંડ બાદ તેમનું ડૉક્ટર બનવાનું સપનું રોળાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.
અશોક બહારના પરિવારમાં ૨૦ જેટલા સભ્યો ડૉક્ટર છે. તેમના પિતા પણ ડૉક્ટર હતા, પરંતુ તેમણે માર્કેટિંગ ક્ષેત્રમાં કરીઅર બનાવી હતી. તેમણે ઇન્ડિયન ડ્રગ્સ ઍન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ (IDPL)માં માર્કેટિંગ હેડ તરીકે લાંબી સેવા આપી અને વિદેશમંત્રાલયમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યા પછી પણ તેમની માતાને આપેલું વચન તેમના મનમાંથી ક્યારેય ભૂંસાયું નહોતું.
આ મુશ્કેલ સફરમાં તેમનાં જાણીતાં ગાયનેકોલૉજિસ્ટ પત્ની ડૉ. મંજુએ શિક્ષક બનીને અશોક બહારને મેડિકલના પાઠ ભણાવ્યા. અશોકજીનું લક્ષ્ય હેપેટોલૉજી (લિવરના રોગો)માં સ્પેશ્યલાઇઝેશન કરવાનું હતું.
પેપર-લીક બાદ પરીક્ષા કૅન્સલ થતાં હવે ૭૧ વર્ષની ઉંમરે ફરીથી એ જ મહેનત કરવી એ અશોક બહાર માટે માત્ર શારીરિક જ નહીં, માનસિક રીતે પણ અત્યંત કપરું સાબિત થશે.