13 September, 2026 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
PM નરેન્દ્ર મોદી અને અસગરઅલી વોહરા
મુંબઈના મીરા રોડના રહેવાસી 81 વર્ષીય અસગરઅલી વોહરાએ જમીન વિવાદમાં ન્યાય મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની માગ કરી છે. વોહરાએ આ મામલે CBI તપાસની પણ માગણી કરી છે. તેઓ વડા પ્રધાન મોદીના શાળાના સહપાઠી હોવાનું કહેવાય છે, બન્નેએ ગુજરાતના વડનગરની બી. એન. સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. અહેવાલ મુજબ, વોહરા 8 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીને મળ્યા હતા. તેમણે વડા પ્રધાનને તેમના દાયકાઓ જૂના જમીન વિવાદ વિશે વાત કરી હતી અને ન્યાય માટે પણ અપીલ કરી. વોહરાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી તેમને આશા જાગી છે કે ન્યાય મળશે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે વડા પ્રધાન અને વોહરા વચ્ચેની મુલાકાતની તસવીરો અને એક પ્રેસ નોટ પણ જાહેર કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વડા પ્રધાન તેમના મિત્રને ન્યાય અપાવવામાં મદદ કરશે.
વોહરાએ 1989માં ભાયંદર (પૂર્વ)ના નવઘર વિસ્તારમાં અંદાજે 2,810 ચોરસ મીટર જમીન ખરીદી હતી અને આ વ્યવહાર માટે નોંધાયેલ કરાર કર્યો હતો. અહેવાલો અનુસાર, આ જમીન અંગેનો વિવાદ 2011 પછી સામે આવ્યો હતો. વોહરાનો આરોપ છે કે 2011માં `સ્વયમ બિલ્ડર્સ` અને `સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ` દ્વારા જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું. `સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ` ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે. વોહરાએ આરોપ લગાવ્યો છે કે જમીન સંબંધિત બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા અને મૂળ માલિકને અંધારામાં રાખવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, જમીનને બે ભાગમાં વહેંચવામાં આવી હતી અને બન્ને ભાગનો કબજો `સ્વયમ બિલ્ડર્સ` અને `સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ` પાસે હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
આ વિવાદ અંગે 2015માં FIR નોંધવામાં આવી હતી અને હાલમાં આ મામલો કોર્ટમાં પૅન્ડિંગ છે. ત્યારથી, વોહરા મહેસૂલ વિભાગ, મ્યુનિસિપલ પ્રશાસન અને પોલીસનો સંપર્ક કરીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ મ્યુનિસિપલ પ્રશાસને પણ આ મામલાની નોંધ લીધી છે. 16 સપ્ટેમ્બરના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી છે. `સેવન-ઈલેવન કન્સ્ટ્રક્શન્સ` અને `સ્વયમ બિલ્ડર્સ`ના પ્રતિનિધિઓને પણ સુનાવણીમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વોહરાને આશા છે કે વડા પ્રધાનના હસ્તક્ષેપથી જમીન અંગેના તેમના લાંબા સમયથી ચાલતા વિવાદમાં ન્યાય મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા-BRICS) શિખરસંમેલન દરમ્યાન પ્રાચીન તામિલ ગ્રંથ તિરુક્કુરાલની રશિયન આવૃત્તિ ભેટમાં આપી છે. આ ભેટનું મોટું મહત્ત્વ છે, કારણ કે રશિયા સાથે આ ગ્રંથનો સદીઓ જૂનો નાતો છે.