31 May, 2026 07:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આઠમા પગારપંચ હેઠળ સરકારી કર્મચારીઓ માટે રજૂ કરાયેલા પગારવધારાનો નિર્ણય નવી ‘૩૪૯૦ કૅલરી’ ફૉર્મ્યુલા દ્વારા લેવામાં આવી શકે છે. આ ફૉર્મ્યુલા પગારવધારાને દૂધ, શાકભાજી અને અનાજ જેવી આવશ્યક ખાદ્ય ચીજોના ખર્ચ સાથે જોડે છે જે ૩૪૯૦ કૅલરીના નિર્ધારિત કૅલરીના સેવનને પૂર્ણ કરવા માટે જરૂરી છે. અગાઉના પગારપંચમાં ૨૭૦૦ કૅલરીના સેવનને ધ્યાનમાં લેવામાં આવતું હતું. કર્મચારી સંગઠનોએ આઠમા પગારપંચને નવા લઘુતમ પગાર નક્કી કરતી વખતે આ પદ્ધતિ અપનાવવા વિનંતી કરી છે અને જણાવ્યું છે કે જૂની ફૉર્મ્યુલા હાલના ખર્ચને પ્રતિબિંબિત કરતી નથી. જો આ માગણી સ્વીકારવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મૂળભૂત જીવનધોરણ જાળવવાના વધતા ખર્ચનો સમાવેશ થઈ શકે છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) દ્વારા જાહેર કરાયેલી નવીનતમ આહાર માર્ગદર્શિકા વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિના સ્તરના આધારે દૈનિક કૅલરી જરૂરિયાતોને વર્ગીકૃત કરે છે. ઊર્જાની જરૂરિયાતો બેઠાડુ, મધ્યમ સક્રિય અને ભારે સક્રિય જીવનશૈલી વચ્ચે બદલાય છે.
૧૯-૩૯ વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં બેઠાડુ પુરુષો માટે ૨૧૧૦ કિલો કૅલરી, સ્ત્રીઓ માટે ૧૬૬૦ કિલો કૅલરી; મધ્યમ પ્રવૃત્તિમાં પુરુષો માટે ૨૭૧૦ કિલો કૅલરી, સ્ત્રીઓ માટે ૨૧૩૦ કિલો કૅલરી અને ભારે પ્રવૃત્તિ ધરાવતા પુરુષો માટે ૩૪૭૦ કિલો કૅલરી અને સ્ત્રીઓ માટે ૨૭૨૦ કિલો કૅલરી ઊર્જા જરૂરી છે.
કર્મચારી સંગઠનોએ માગણી કરી છે કે ઘણી સરકારી ભૂમિકાઓમાં વ્યાપક ફીલ્ડવર્ક, વારંવાર મુસાફરી, ભરચક શેડ્યુલ, કાર્યસ્થળે તનાવ અને સતત શારીરિક પ્રયત્નો સામેલ હોય છે અને એ દૈનિક ઊર્જા જરૂરિયાતોમાં વધારો કરે છે.
મિનિમમ પગાર ૬૦,૦૦૦ રૂપિયા
હેલ્થકૅરનો ખર્ચ, શિક્ષણખર્ચ અને આધુનિક જીવનજરૂરિયાતોને ધ્યાનમાં લીધા પછી લઘુતમ પગાર ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયાની વચ્ચે હોવો જોઈએ. આઠમા પગારપંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમ જ તેમના પરિવારો સહિત ૧.૧ કરોડથી વધુ લાભાર્થીઓને અસર થવાની ધારણા છે. અત્યાર સુધીમાં ભારતમાં ૭ પગારપંચ જોવા મળ્યાં છે. પ્રથમ પગારપંચ જાન્યુઆરી ૧૯૪૬માં સ્થાપિત થયું હતું અને ત્યારથી સામાન્ય રીતે દર ૧૦ વર્ષે એક નવું પગારપંચ રચવામાં આવ્યું છે. આઠમા પગારપંચની રચના ૨૦૨૫ની ૩ નવેમ્બરે કરવામાં આવી હતી.