વડા પ્રધાનની દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલનો બીજા જ દિવસે ઉલાળિયો

13 May, 2026 07:35 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

BJPના નેતા ૫૦ લક્ઝરી ગાડીઓના કાફલા સાથે ઉજ્જૈનથી ભોપાલ પહોંચ્યા

BJPના નેતા સૌભાગ્ય સિંહ ઠાકુર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા-ઈરાન યુદ્ધના સંજોગોમાં દેશવાસીઓને ઈંધણનો વપરાશ ઘટાડવાની અને કરકસર કરવાની ભાવુક અપીલ કર્યાના ગણતરીના કલાકોમાં જ મધ્ય પ્રદેશમાં વિરોધાભાસી ચિત્ર જોવા મળ્યું છે. BJPના નેતા સૌભાગ્ય સિંહ ઠાકુર સોમવારે ઉજ્જૈનથી ભોપાલ સુધી ૫૦ જેટલાં વાહનોના કાફલા સાથે નીકળતાં ભારે ચર્ચા જાગી છે.

મધ્ય પ્રદેશ પાઠ્યપુસ્તક નિગમના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા સૌભાગ્ય સિંહ ઠાકુર સોમવારે વિધિવત્ રીતે ચાર્જ સંભાળવા માટે ઉજ્જૈનથી રાજ્યની રાજધાની ભોપાલ જવા રવાના થયા હતા. સામાન્ય રીતે રાજકીય નેતાઓ કાફલામાં ફરતા હોય એ ભારતમાં નવી વાત નથી, પરંતુ આ વખતે ૫૦ જેટલી ગાડી અને સમર્થકોની ગાડીઓનો લાંબો કાફલો આકર્ષણ અને ટીકાનું કેન્દ્ર બન્યો હતો. ફૂલહારથી સજ્જ આ ગાડીઓની હારમાળાએ રસ્તા પરથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમ્યાન ક્રૂડ ઑઇલની આયાત ઘટાડવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે પેટ્રોલ-ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની દેશને હાકલ કરી હતી. વડા પ્રધાનની આ સલાહના બીજા જ દિવસે BJPના જ એક નેતા દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય શક્તિપ્રદર્શને સોશ્યલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે જ્યારે વડા પ્રધાન દેશહિતમાં કરકસરની વાત કરી રહ્યા હોય ત્યારે પક્ષના જવાબદાર હોદ્દેદારોએ વધુ સંયમ દાખવવાની જરૂર હતી.

national news india madhya pradesh bharatiya janata party bhartiya janta party bjp indian government