પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા માટે આગરાનો પહેલવાન કમર પર દોરડું બાંધીને કાર ખેંચીને વૃંદાવન પહોંચ્યો

07 April, 2026 10:14 AM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

સ્થાનિક લોકો અને યાત્રાળુઓની મોટી ભીડ તેને જોવા માટે એકઠી થઈ હતી.

પહેલવાન ગૌરવ ચાહર

આગરાનો પહેલવાન ગૌરવ ચાહર કમરથી ગાડી ખેંચીને સંત પ્રેમાનંદ મહારાજને મળવા માટે ૯૦ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને રવિવારે વૃંદાવન પહોંચ્યો હતો. ગૌરવનું લક્ષ્ય મહારાજના આશીર્વાદ મેળવવાનું અને યુવાનોમાં શક્તિ અને ભક્તિનો સંદેશ ફેલાવવાનું છે. ગૌરવ ચાહર વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનાં પ્રવચનોથી પ્રભાવિત છે અને તેમની સાથે વ્યક્તિગત રીતે વાત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માગતો હોવાથી તેણે આગરાથી વૃંદાવનની યાત્રા જરા અલગ રીતે કરી હતી. બીજી એપ્રિલે પોતાના વતનથી તેણે યાત્રા શરૂ કરી હતી. તડકા અને ખડકાળ રસ્તાઓથી નિરાશ થયા વિના ગૌરવે પોતાની કમર પર જાડું દોરડું બાંધ્યું હતું અને ભારે કાર ખેંચવાનું શરૂ કર્યું હતું. આગરાથી વૃંદાવનનું આશરે ૯૦ કિલોમીટરનું અંતર તેણે રવિવારે પૂર્ણ કર્યું હતું. કાર ખેંચીને ગૌરવ વૃંદાવન પહોંચ્યો ત્યારે વાતાવરણ રાધે-રાધેના નારાથી ગુંજી ઊઠ્યું હતું. સ્થાનિક લોકો અને યાત્રાળુઓની મોટી ભીડ તેને જોવા માટે એકઠી થઈ હતી.

પહેલવાન ગૌરવ ચાહરનો આ પ્રયાસ ફક્ત રેકૉર્ડ બનાવવાનો નહોતો, પરંતુ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અને શારીરિક તંદુરસ્તીને આધ્યાત્મિકતા સાથે જોડવાનો સંદેશ આપવાનો હતો. જોકે ભારે ભીડ અને સુરક્ષાચિંતાઓને કારણે રવિવારે તે મહારાજને મળી શક્યો નહોતો, પરંતુ તેનું કહેવું છે કે હું દર્શન કર્યા વિના અને આશીર્વાદ લીધા વિના પાછો નહીં આવું.

national news india agra premanand ji maharaj vrindavan