19 July, 2026 07:05 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
અભિષેક બેનર્જીની ઓફિસ તોડી પાડવામાં આવી હતો (તસવીર: X)
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના અમટાલામાં તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના કાર્યાલયને તોડી પાડવાની કાર્યવાહી મામલે કોલકાતા હાઈ કોર્ટે વચગાળાની રાહત આપી છે. રવિવાર (19 જુલાઈ, 2026) ના રોજ જાહેર કરાયેલા એક આદેશમાં, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે કાર્યાલય સંબંધિત તમામ કાર્યવાહી આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવે. આ આદેશને ટીએમસી માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
શનિવારે (18 જુલાઈ) ના રોજ, જિલ્લા પ્રશાસને અમટાલા-બરુઇપુર રોડ પર સ્થિત અભિષેક બેનર્જીના કાર્યાલયના કેટલાક ભાગોને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો. પ્રશાસને જણાવ્યું હતું કે આ ઇમારત મંજૂર બિલ્ડિંગ પ્લાન વિના બનાવવામાં આવી હતી. કામગીરી દરમિયાન મોટી પોલીસ દળ તહેનાત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇમારત અંગે દસ્તાવેજો અને સ્પષ્ટતા માગતી પહેલી નોટિસ 30 જૂને આપવામાં આવી હતી. ત્યારબાદ 7 જુલાઈએ બીજી નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં સંબંધિત પક્ષને 15 જુલાઈએ સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વહીવટીતંત્રનો દાવો છે કે કોઈ જવાબ મળ્યો નથી કે કોઈ પ્રતિનિધિ સમયમર્યાદા સુધીમાં હાજર થયો નથી, જેના કારણે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કાર્યવાહી બાદ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, "જો કોઈ એવું વિચારે છે કે અમારા પક્ષના કાર્યાલયને તોડી પાડીને તેઓ તૃણમૂલ કૉંગ્રેસને ડરાવી અથવા ચૂપ કરી શકશે, તો તેઓ ખૂબ જ ભૂલમાં છે. આવા પગલાંથી અમે જનતામાં વધુ મજબૂત બનીશું." તેમણે દાવો કર્યો હતો કે કાર્યાલય ખાનગી જમીન પર બનેલું છે અને તેમની પાસે બાંધકામ સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો છે. તેમણે કહ્યું હતું કે પક્ષ કલકત્તા હાઈ કોર્ટમાં તમામ દસ્તાવેજો સબમિટ કરશે અને જો જરૂરી હોય તો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. અભિષેક બેનર્જીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કાર્યવાહી દરમિયાન, ભગવા સ્કાર્ફ પહેરેલા અને ભાજપના ધ્વજ લઈને આવેલા વ્યક્તિઓએ પરિસરમાં પ્રવેશ કર્યો અને પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરી.
ભાજપે પ્રશાસનની કાર્યવાહીને સમર્થન આપ્યું છે. પશ્ચિમ બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા અગ્નિમિત્ર પોલે જણાવ્યું હતું કે, "કાયદો દરેક માટે સમાન છે. કોઈપણ વ્યક્તિ, સંગઠન કે જનપ્રતિનિધિ કાયદાથી ઉપર ન હોઈ શકે. કાનૂની પ્રક્રિયા અનુસાર વહીવટી કાર્યવાહી કડક રીતે થવી જોઈએ." આ દરમિયાન, સંસદના ચોમાસુ સત્ર પહેલા ટીએમસીને લગતા અન્ય રાજકીય વિકાસને લગતા વિવાદો ચાલુ છે. હવે બધાની નજર આ બાબતે કોલકાતા હાઈ કોર્ટના આગામી આદેશ પર છે.