31 May, 2026 12:51 PM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
અભિષેક બૅનરજી
પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોને મળવા જઈ રહેલા સંસદસભ્ય અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના ભત્રીજા અભિષેક બૅનરજી પર ગઈ કાલે હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ તેમના પર ઈંડાં ફેંક્યાં હતાં અને તેમનાં કપડાં ફાડી નાખવામાં આવ્યાં હતાં. તેઓ સોનારપુરમાં ચૂંટણીહિંસામાં ઘાયલ કાર્યકરોને મળવા ગયા ત્યારે આ ઘટના બની હતી. આ મુદ્દે અભિષેક બૅનરજીએ કહ્યું હતું કે ‘આ કામ ભારતીય જનતા પાર્ટી (BJP)નું છે. આ તેમના લોકતંત્રનું ઉદાહરણ છે. હજી તો સત્તામાં આવ્યે એક મહિનો પણ થયો નથી. ક્યાંય પોલીસ પણ જોવા મળતી નથી. હેલ્મેટને કારણે મારું માથું બચી ગયું છે. આ બાબત અમે હાઈ કોર્ટ સામે લઈ જઈશું અને રાજ્યપાલ પાસે જઈશું.’
ભીડમાંથી માંડ બચાવીને એસ્કોર્ટ કરીને અભિષેક બૅનરજીને દૂર લઈ જવાયા હતા.
ભીડની મારપીટથી અભિષેક બૅનરજીને બચાવવા તેમના સુરક્ષા-અધિકારીઓએ હેલ્મેટ પહેરાવી દીધી હતી.
હૉસ્પિટલમાં મમતા બૅનરજી ભત્રીજાને મળવા દોડી ગયાં હતાં.
જે મહિલાઓ પહેલાં થરથર કાંપતી હતી તેમણે ‘ચોર-ચોર’ના નારા સાથે TMCના નેતાને ઈંડાં માર્યાં હતાં.
ઘાયલ થયા પછી તેમને અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
તૃણમૂલ કૉન્ગ્રેસે આરોપ લગાવ્યો હતો કે જે સમયે અભિષેક બૅનરજી તેમના કાર્યકરોને મળી રહ્યા હતા ત્યારે BJPના લોકો ત્યાં પહોંચ્યા હતા અને ‘ચોર... ચોર’ના નારા લગાવ્યા હતા અને ઈંડાં ફેંક્યાં હતાં. બીજી તરફ BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ મારપીટનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરીને લખ્યું હતું કે બંગાળના લોકોનો અભિષેક બૅનરજી પ્રત્યેનો ગુસ્સો બંગાળના રસ્તા પર જોવા મળ્યો છે.
આ મુદ્દે પાર્ટીના સંસદસભ્ય ડેરેક ઓબ્રાયને કહ્યું હતું કે ‘બંગાળમાં શું થઈ રહ્યું છે? લોકસભાની બીજા નંબરની પાર્ટીના સંસદસભ્યના લિંચિંગનો પ્રયાસ થયો છે. અભિષેક બૅનરજી પર BJPના કાર્યકરોએ હુમલો કર્યો છે. તેમની જિંદગી દાવ પર લાગી છે. પોલીસ ક્યાં છે? ચૂંટણી મતગણતરી પછી તેમની સિક્યૉરિટી શા માટે હટાવી દેવામાં આવી છે એનો જવાબ ગૃહપ્રધાને આપવો પડશે.’
BJP મને મારી નાખવા માગે છે ઃ અભિષેક બૅનરજી
ધોલધપાટ પછી અભિષેક બૅનરજી ઘાયલ થયા હતા અને તેમને અપોલો હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એ પછી હૉસ્પિટલમાં મમતા બૅનરજી પહોંચ્યાં હતાં. પોતાના પર થયેલા હુમલા માટે અભિષેક બૅનરજીએ BJPને જવાબદાર ઠેરવતાં કહ્યું હતું કે ‘જુઓ, આ લોકોએ મારી સાથે શું કર્યું. આ તેમનો પહેલેથી જ બનેલો પ્લાન હતો. આ વિસ્તારમાં કોઈ પોલીસ નથી. તેઓ મને મારવા માગે છે. હેલ્મેટને કારણે મારું માથું બચી ગયું. આવા હુમલાઓથી અમે ડરીશું નહીં. આખી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ છે.’
મમતાએ ઠાલવ્યો રોષ ઃ શાસક બન્યા હત્યારા
TMC પ્રમુખ મમતા બૅનરજીએ ભત્રીજા પર થયેલા હુમલા માટે BJP પર રોષ ઠાલવ્યો હતો અને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘શાસક બન્યા હત્યારા. BJP પર શરમ આવે છે.’
TMCના સત્તાવાર સોશ્યલ મીડિયા પર જાહેર નિવેદન કરતાં લખ્યું હતું, ‘સુવેન્દુ અધિકારી, આજની ઘટનાઓએ એક વાર એ રાજનીતિને ઉજાગર કરી દીધી જેનું તમે નેતૃત્વ કરો છો. એવી રાજનીતિ જે ડરાવવા, ધમકાવવા, હિંસા અને બદલા પર આધારિત છે.’