23 March, 2026 10:41 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
કૈલાશ
ઉત્તરાખંડમાં ધાર્મિક પર્યટનને વેગ આપતી પવિત્ર આદિ કૈલાશ યાત્રાનો આગામી ૧ મેથી વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે. પિથોરાગઢ જિલ્લામાં સમુદ્રની સપાટીથી આશરે ૧૪,૫૦૦ ફુટની ઊંચાઈ પર આવેલા ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રાચીન મંદિરનાં કપાટ ખૂલતાંની સાથે જ આ વર્ષની યાત્રા શરૂ થશે. શિયાળાના વિરામ બાદ ગ્રામજનોના પોતાના મૂળ વતન પાછા ફરવાની સાથે જ આ વિસ્તારમાં ફરી ભક્તિમય માહોલ જામશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના નિર્માણ બાદ હવે આદિ કૈલાશની યાત્રા સરળ બની છે. અગાઉ આ યાત્રા પગપાળા કરવી પડતી હતી, પરંતુ હવે વાહનોની સુવિધા ઉપલબ્ધ થતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે સ્થાનિક યુવાનો માટે હોમ-સ્ટે, ટૅક્સીસેવાઓ અને ગાઇડ તરીકે રોજગારની નવી તકો ઊભી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ આ સ્થળ પ્રત્યે દેશભરમાં આકર્ષણ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં આદિ કૈલાશને ‘છોટા કૈલાશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસસ્થાન છે. યાત્રા દરમ્યાન ભક્તો પાર્વતી સરોવર અને ગૌરી કુંડનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભારત-તિબેટ સરહદ પાસે આવેલાં આ પવિત્ર સ્થળ આધ્યાત્મિક શાંતિ માટે જાણીતું છે.
આદિ કૈલાશ અને ઓમ પર્વતનાં દર્શન કરવા ઇચ્છતા શ્રદ્ધાળુઓએ ધારચુલાસ્થિત સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટની ઑફિસમાંથી ‘ઇનર લાઇન પરમિટ’ મેળવવી ફરજિયાત છે. આ માટે આધાર કાર્ડ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝના ફોટોની જરૂર પડે છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે હવે ઑનલાઇન અરજી કરવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કાશી વિશ્વનાથ મંદિરની એક અદ્ભુત તસવીર વાઇરલ થઈ રહી છે જેમાં મંદિરના સુવર્ણ શિખર પર ચંદ્રમા નજરે પડે છે, જાણે તેઓ મહાદેવના મસ્તક પર બિરાજમાન હોય. આ શ્રદ્ધા, પ્રકૃતિ અને અદ્ભુત સુંદરતાનો મનમોહક સંગમ દેખાય છે. આ ચૈત્ર સુદ બીજનો ચંદ્ર છે.
રવિવારે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેટલો બરફ પડ્યો છે એ કેદારનાથ ધામની આ તસવીર અને ત્યાં ફરજ બજાવતા જવાનની તસવીરો બયાન કરે છે.