28 October, 2025 03:54 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ સામે ‘ઑપરેશન સિંદૂર’ કર્યું હતું. મે મહિનામાં ભારતીય સેનાની આ ત્રણ દિવસીય કાર્યવાહીમાં પાકિસ્તાન ઘૂંટણીયે આવી ગયું હતું અને આખરે સીઝફાયર કરવા ભારતને વિનંતી કરી હતી. ત્યાર બાદ ગઈ કાલે રાતે જમ્મુ અને કાશ્મીરની લીપા વૅલીમાં પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનની સેનાએ લીપા વૅલી વિસ્તારમાં આવેલી લાઇન ઑફ કન્ટ્રોલ (Loc) ખાતે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. સિઝફાયર તોડવાની ઘટના 26 અને 27 ઑક્ટોબરની રાતે બની હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ પાક આર્મી તરફથી નાના હથિયારો અને મોર્ટાર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે ભારતીય સેનાએ તેમને કડક જવાબ આપ્યો હતો. આ પહેલા પણ પાકિસ્તાની આર્મી તરફથી નાના પાયે સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના પણ અહેવાલ સામે આવી હતા અને તેની સામે પણ ભારતીય જવાનોએ કાર્યવાહી કરી હતી.
સિઝફાયરનું ઉલ્લંઘન બાદ હવે વિસ્તાર હાઈ ઍલર્ટ પર છે. LOC નજીક ભારતીય સેનાની હલચલ વધી ગઈ છે, પણ રવિવારથી આ વિસ્તારમાં શાંતિ છે. જેથી હવે પાકની આ ઉશ્કેરીજનક હરકતનો ભારત શું જવાબ આપે છે, તે જોવાનું રહેશે. જોકે આ મામલે અત્યાર સુધી સેના કે સરકાર તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ દરમિયાન ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી કે ઑપરેશન સિંદૂર હજી પૂર્ણ થયું નથી, જો ત્યાંથી કોઈ હરકત થાય છે તો તેનો જવાબ બમણી ક્ષમતા સાથે આપવામાં આવશે, જેથી ભારત શું હવે ‘ઑપરેશન સિંદૂર 2.0’ કરશે તે અંગે આખી દુનિયાની નજર છે.
ભારતીય સશસ્ત્ર દળોના સંયુક્ત ત્રિશુલ કવાયતની અપેક્ષાએ પાકિસ્તાને પોતાનું સંપૂર્ણ હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. નૌકાદળના વડા અસીમ મુનીરની સર ક્રીકની મુલાકાત બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને સર ક્રીકમાં કોઈપણ દુ:સાહસ સામે ચેતવણી આપી હતી. પશ્ચિમ સરહદ પર ત્રણેય ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 30 ઑક્ટોબરના રોજ શરૂ થનારા ‘ત્રિશુલ’ કવાયતથી પાકિસ્તાની સૈન્યમાં ખળભળાટ મચી ગયો છે. ભારતે ’ત્રિશુલ’ કવાયત માટે ‘નોટિસ ટુ ઍર મિશન’ (NOTAM) જાહેર કરી દીધી છે. જોકે, પાકિસ્તાન આ કવાયતથી એટલું ચિંતિત છે કે તેણે ‘NOTAM’નો વ્યાપ લગભગ સમગ્ર દેશના હવાઈ ક્ષેત્રને આવરી લેવા માટે વધારી દીધો છે. પરિણામે, લગભગ તમામ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનનું આ પગલું તેના નૌકાદળના વડાની સર ક્રીક ક્ષેત્રની મુલાકાત પછી આવ્યું છે.