06 April, 2026 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિવારે દિલ્હીમાં અમૃત ભારત ટ્રેનના નવા તૈયાર કોચનું નિરીક્ષણ કરતા કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ.
શનિવારે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી સ્ટેશન પર નેક્સ્ટ જનરેશન અમૃત ભારત કોચના સૅમ્પલ કોચનું નિરીક્ષણ કર્યું હતું. આ કોચના ફોટો જોઈને લાગે છે કે મુસાફરીને વધુ આરામદાયક બનાવવાની રેલવેએ તૈયારી કરી દીધી છે. કોચના ઇન્ટિરિયરને મુસાફરોને આરામ અને સુખદ મુસાફરીનો અનુભવ થાય એવું ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. કોચની નવી રંગ યોજના કોચને આધુનિક, આકર્ષક અને એકસમાન લુક આપે છે. ડિઝાઇન ટકાઉ અને જાળવણીમાં સરળ બનાવવામાં આવી છે.
કોચમાં અલગ આધુનિક રંગ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીવીસી ફ્લોરિંગ, સીટ-બર્થ રેક્ઝિન, નાસ્તાનાં ટેબલ, પડદા અને શૌચાલય વિસ્તારોમાં સંકલિત રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બધી સામગ્રી HL3 ફાયર સેફ્ટી ધોરણોનું પાલન કરે છે, જે સલામતીમાં વધુ વધારો કરે છે. આ પહેલને ભારતીય રેલવેના રોલિંગ સ્ટૉકને આધુનિક બનાવવા અને મુસાફરોને સલામત, આરામદાયક અને વિશ્વ કક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.