શહીદ દીકરાનું રૂ. 21 લાખનું વળતર મહિલા લઈ ગઈ, પણ પિતાએ કહ્યું "લગ્ન થયા જ નહોતા"

19 June, 2026 03:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

શુભમના પિતા અમરેન્દ્ર શર્માએ જાહેરમાં વળતર વિતરણની પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે પરિવારને આ બાબતની જાણ કરવામાં આવી ન હતી. અમરેન્દ્ર શર્માના જણાવ્યા મુજબ, અંતિમ સંસ્કાર પછી ઘરે પાછા ફર્યા પછી જ તેમને આ વિશે ખબર પડી.

લૅફ્ટનન્ટ શુભમ કુમારનું ક્રૅશમાં મૃત્યુ થયું હતું

આસામમાં વાયુસેનાના વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા ફ્લાઇટ લૅફ્ટનન્ટ શુભમ કુમારના મૃત્યુ બાદ વળતર અંગે વિવાદ ઉભો થયો છે. તેમના અંતિમ સંસ્કારના થોડા દિવસો પછી, તેમના પરિવારે આરોપ લગાવ્યો છે કે શુભમની પત્ની હોવાનો દાવો કરતી એક મહિલાને વળતર તરીકે 21 લાખ રૂપિયાનો ચૅક આપવામાં આવ્યો હતો, જોકે શુભમના લગ્ન તો ક્યારેય થયા જ નથી.

પરિવારે કહ્યું તેની ગર્લફ્રેન્ડ હતી પણ લગ્ન થયા નહોતા 

પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ જાણતા હતા કે શુભમ કુમાર ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાની વતની શ્રેયા રાય સાથે રિલેશનમાં હતો. પરિવારનું કહેવું છે કે તેમને આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો અને તેમણે તેમના લગ્ન માટે સંમતિ પણ આપી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, લગ્નની તૈયારીઓ અને ચર્ચાઓ સારી રીતે ચાલી રહી હતી, અને લગ્ન આ વર્ષે થવાની સંભાવના હતી. આસામ વિમાન દુર્ઘટનામાં શુભમના મૃત્યુ પછી, શ્રેયા રાય પણ અંતિમ સંસ્કારમાં આવી હતી. પરિવારનું કહેવું છે કે વિવાદ ત્યારે થયો જ્યારે તેમને ખબર પડી કે વળતરનો ચૅક શ્રેયા રાયને સોંપી દેવામાં આવ્યો છે. તેમના કોર્ટ મૅરેજ થયા હતા તે અંગે પણ પરિવારને જાણ નહોતી, એવું શુભમના પિતાએ કહ્યું હતું.  

પિતાએ રૂ. 21 લાખના વળતર પર પ્રશ્ન ઉઠાવ્યા

શુભમના પિતા અમરેન્દ્ર શર્માએ વળતર આપવાની પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે પરિવારને આ બાબતની જાણ કરવામાં આવી ન હતી. અમરેન્દ્ર શર્માના જણાવ્યા મુજબ, અંતિમ સંસ્કાર પછી ઘરે પાછા ફર્યા પછી જ તેમને આ વિશે ખબર પડી. તેમણે ઉલ્લેખ કર્યો કે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કર્યા પછી, તેમને જાણ કરવામાં આવી હતી કે શ્રેયા રાયને વળતરનો ચૅક પહેલેથી જ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જો તેમના દીકરા અને શ્રેયા વચ્ચે કાયદેસર રીતે માન્ય લગ્ન થયા હોત, તો શ્રેયા રાય સ્વાભાવિક રીતે લાભો મેળવવા માટે હકદાર હોત. જોકે, તેમનો દાવો છે કે પરિવારને કોઈ કોર્ટ મૅરેજ વિશે કોઈ માહિતી નહોતી.

પરિવારે સંરક્ષણ મંત્રીને અપીલ કરી

પોતાના દીકરાના પરિવારનો મુખ્ય આધારસ્તંભ ગણાવતા, અમરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે તેઓ મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે અને શુભમ પર જ નાણાકીય આધાર રાખતા હતા. પુત્રના મૃત્યુથી પરિવારને ભાવનાત્મક અને નાણાકીય નુકસાન થયું છે. તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંબંધિત અધિકારીઓ પાસેથી સહાય માગી છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે શહીદ અધિકારીના આશ્રિતો માટે નિયુક્ત નાણાકીય સહાયમાંથી પરિવારને બાકાત રાખવો જોઈએ નહીં.

વૈવાહિક સ્થિતિ અંગે વિવાદ

શુભમ કુમારના વૈવાહિક દરજ્જા અને સરકારી વળતરના કાનૂની હક પર વિવાદ શરૂ થયો છે. અત્યાર સુધી, વળતરનો ચૅક મેળવવા માટે કયા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરિવારના આરોપો બાદ આગળ કોઈ તપાસ અથવા ચકાસણી હાથ ધરવામાં આવશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી, તેમ જ ચૅક બૅન્કમાં જમા કરવી પૈસા લેવામાં આવ્યા તે પણ વિગતો મળી નથી.

indian air force plane crash defence ministry assam rajnath singh national news