28 February, 2025 07:02 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
Assam Earthquake: ગુરુવારની અડધી રાત્રે આસામના મોરીગાંવ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. ૫.૦ની તીવ્રતાના આંચકાએ આખા આસામને હચમચાવી નાખ્યું. લોકો જ્યારે રાત્રે ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુવાહાટી જ નહીં પણ આસામના અન્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.
કેટલા વાગ્યે આવ્યો ભૂકંપ?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપ વહેલી સવારે 2:25 વાગ્યે 16 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આસામનો વિસ્તાર ભારતના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારો હેઠળ આવતો વિસ્તાર છે, એટલે કે અહીં ભૂકંપ આવવાનું જોખમ વધારે છે.
છેલ્લા અમુક વર્ષોમાં આસામે ભયાનક ભૂકંપ જોયા છે
છેલ્લા કેટલાંક વર્ષોમાં આ વિસ્તારમાં આવેલા આંચકાઓ (Assam Earthquake) અંગે વાત કરવામાં આવે તો ઘણા મોટા પ્રમાણના કહી શકાય એવા આંચકા આવ્યા છે. વર્ષ ૧૯૫૦માં આસામ-તિબેટમાં 8.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે ઉપરાંત વર્ષ ૧૮૯૭ની વાત કરીએ ત્યારે પણ આસામ 8.1 ની તીવ્રતાના ધરતીકંપ સાથે હલબલી ગયું હતું.
તાજતેરમાં જ મંગળવારે વહેલી સવારે બંગાળની ખાડીમાં પણ રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ભૂકંપ સવારે 6:10 વાગ્યાની આસપાસ આવ્યો હતો. જેનું કેન્દ્ર 91 કિમીની ઊંડાઈએ હતું. ઓડિશામાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના ઝટકા કલકત્તા અને પશ્ચિમ બંગાળમાં પણ અનુભવાયા હતા.
દિલ્હીએ પણ હમણાં અનુભવ્યો હતો ભૂકંપ
એ પહેલા દિલ્હીએ પણ ભૂકંપ (Assam Earthquake)નો અનુભવ કર્યો હતો. ગઈ 17 ફેબ્રુઆરીએ સવારે 5:35 વાગ્યે દિલ્હી-એનસીઆરમાં ધરતીમાં થયેલી ધ્રુજારી લોકોએ અનુભવી હતી. અહીં ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હીથી 14 કિમી દૂર હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. આ ભૂકંપ દરમિયાન નોઇડા, ગુડગાંવ અને ગાઝિયાબાદમાં પણ અસર જોવા મળી હતી.
આખરે, ભૂકંપ આવવાના કારણો શું?
ભૂકંપ શા માટે આવે છે? આ પ્રશ્ન સહજ આપણને થાય. હવે તમને જણાવી દઈએ કે પૃથ્વીના પેટાળમાં સાત પ્લેટ્સ આવેલ છે. કહેવાય છે કે તે સતત ફરતી રહે છે. પણ જ્યારે આ પ્લેટોમાં ઘર્ષણ પેદા થાય છે ત્યારે છે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. આ પ્રમાણે વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જતાં હોય છે. એવામાં જ્યારે દબાણનું જોર ખૂબ જ વધી જાય છે ત્યારે પ્લેટો તૂટવા માંડે છે. આ સમયે તળેટીની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને આ વિક્ષેપ થવાને કારણે ધરતી ધ્રૂજે (Assam Earthquake) છે. તેને સામાન્યભાષામાં આપણે ધરતીકંપ કે ભૂકંપ આવ્યો એમ કહીએ છીએ.