29 July, 2021 11:56 AM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તેમ જ લદ્દાખમાં ગઈ કાલે વાદળ ફાટતાં ઘણી વાર સુધી ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ બનાવમાં કુલ ૧૬ જણનાં મૃત્યુ થયાં હતાં અને બીજા કેટલાક લોકો ગુમ થઈ ગયા હતા. ૧૭ જણને ઈજા પહોંચી હોવાના તેમ જ લોકોના માલસામાનને ભારે નુકસાન થયું હોવાના પણ અહેવાલ હતા. અનેક ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં ઉદયપુર નામના વિસ્તારના નાળાઓમાં પૂર આવતાં સાત જણનાં મૃત્યુ થયાં હતાં અને કેટલાક ગુમ હતા. કૂલુ જિલ્લામાં આવેલા પૂરમાં મૃત્યુ પામેલાઓમાં માતા તથા તેના પુત્રનો અને હાઇડલ પ્રોજેક્ટના અધિકારીનો સમાવેશ હતો. લદ્દાખમાં બે સ્થળે વાદળ ફાટવાની ઘટના બની હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પૂરની આ ઘટનાઓ પર તેમ જ લોકોની સલામતી બાબતમાં સતત નજર રાખી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બનતી બધી જ સહાયતા મોકલવામાં આવી રહી છે.