04 May, 2025 06:46 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં ૧૪ કિલોમીટરના રામપથ પર માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ
અયોધ્યા સુધરાઈએ અયોધ્યા અને ફૈઝાબાદ શહેરોને જોડતા મહત્ત્વપૂર્ણ માર્ગ એવા રામ પથના ૧૪ કિલોમીટરના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મંજૂર કર્યો છે. આ પ્રતિબંધ પાન, ગુટકા, બીડી, સિગારેટ અને મહિલા અને પુરુષોનાં અન્ડરગાર્મેન્ટ્સની જાહેરાત પર પણ લાગુ પડશે. અયોધ્યાના મેયર ગિરીશ પતિ ત્રિપાઠીએ ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.
અયોધ્યામાં માંસ અને દારૂના વેચાણ પર પહેલેથી પ્રતિબંધ છે, પણ આ નિયમનું પાલન થતું નથી. જોકે સુધરાઈએ મંજૂર કરેલા ઠરાવનો હેતુ ફૈઝાબાદ શહેરના વિસ્તારોને આવરી લેતા સમગ્ર રામ પથ પર પ્રતિબંધો લાગુ કરવાનો છે.
અયોધ્યા સુધરાઈની કારોબારી સમિતિમાં મેયર, નાયબ મેયર અને ૧૨ નગરસેવકોનો સમાવેશ થાય છે. આ સમિતિમાં ફક્ત એક મુસ્લિમ નગરસેવક સુલતાન અન્સારી છે જેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના છે.