04 October, 2022 09:46 AM IST | Bhadohi | Gujarati Mid-day Correspondent
દુર્ગા પંડાલમાં આગ
ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના એક દુર્ગા પંડાલમાં લાગેલી આગમાં મરણાંક વધીને પાંચ થઈ ગયો છે. રવિવારે મોડી રાતે ભદોહી જિલ્લાના ઔરાઈ શહેરમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાથી ૧૨ વર્ષના એક છોકરાનું મોત થયું હતું તેમ જ ઓછામાં ઓછા બાવન લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોની ઓળખ અંકુશ સોની (૯), જયા દેવી (૪૫), નવીન (૧૦), આરતી ચૌબે (૪૮) અને હર્ષવર્ધન તરીકે થઈ છે. આ ઘટનામાં કુલ ૬૭ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. પ્રાથમિક દૃષ્ટિએ આ આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ ઘટના ઔરાઈ પોલીસ સ્ટેશન નજીકના પંડાલમાં બની હતી.
આ ઘટના આરતી વખતે બની હતી, ત્યારે પંડાલની અંદર ૧૫૦થી વધુ લોકો હાજર હતા. ૩૦થી વધુ લોકો દાઝી ગયા હતા. તેમને નજીકના સૂર્યા ટ્રોમા સેન્ટર, સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જેમને ગંભીર ઈજાઓ થઈ હતી તેમને વારાણસી યુનિવર્સિટીના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.