17 August, 2026 11:13 AM IST | Bihar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મંદિરોમાં કે ધાર્મિક મેળાવડાઓમાં જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હોય ત્યાં સ્ટૅમ્પીડ થયાની ઘટનાઓ પહેલીવારની તો નથી જ. હવે બિહારમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. લખીસરાયમાં આવેલ વિખ્યાત શ્રી ઇન્દ્રદમનેશ્વર મહાદેવ અશોક ધામ મંદિરમાં આજે શ્રાવણના ત્રીજા સોમવાર અને નાગપંચમીના મહાસંયોગ પર શિવલિંગ પર જળાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યો હતો. પરંતુ વીજળીનો થાંભલો પડ્યો હોઇ કરંટ લાગવાની અફવા ફેલાઈ જતાં અહીં સ્ટૅમ્પીડ (Bihar Temple Stampede) થયું હતું. જેમાં મોટી કરુણાંતિકા સર્જાઇ છે. આ હાદસામાં સાત લોકોનાં મોત થયાં છે જ્યારે ૧૯ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. જે જે લોકોને ઇજાઓ થઇ છે તે તમામને પટના ખાતે રીફર કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ઊંડો શોક વ્યક્ત કરી મૃતકોના પરિજનોને રૂ. ચાર લાખની આર્થિક સહાય અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે.
અશોકધામમાં બનેલી નાસભાગ (Bihar Temple Stampede)ની કરુણાંતિકાની વાત કરીએ તો આજે સવારે આશરે સાડા છ વાગ્યે લખીસરાય સ્ટેશન પર ભક્તોથી ભરેલી એકસાથે બે ટ્રેનો આવી પહોંચી હતી. જેના કારણે એક જ સમયે એક સાથે હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે દોડી ગયા હતા. પરિણામે દર્શન માટે ભક્તોની લાંબી કતાર થઇ હતી. કતારને અડીને આવેલ ખેતર પાસે લગાવેલી વાંસની બેરિકેડિંગ તૂટીને નજીકના વીજળીના થાંભલા પર પડી હતી. આ દરમિયાન ભીડમાં `કરંટ ફેલાયો છે` તેવી અફવા વહેતી થઇ હતી. લોકો જીવ બચાવવા માટે આજુ બાજુ જોયા વગર દોડવા લાગ્યા હતા. એ હદ સુધી સ્ટૅમ્પીડ થયું કે ઘણા તો એકબીજા પર પડતા અને કચડાવા લાગ્યા હતા. જેમાં ઘણા શ્રદ્ધાળુઓનો જીવ જતો રહ્યો હતો.
આ કરુણાંતિકા (Bihar Temple Stampede) બાદ લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમાર હોસ્પિટલ ખાતે અને એસપી પ્રેરણા કુમાર મંદિર પરિસરમાં કેમ્પ કરી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, સ્થાનિક લોકોએ પ્રશાસન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. લોકોનું કહેવું છે કે ૨૦૧૯માં થયેલી નાસભાગ બાદ મંદિર પરિસરમાં લોખંડની પાઈપો લગાડવામાં આવી હતી. પરંતુ બહારની બાજુએ માત્ર નબળા વાંસની બેરિકેડિંગ જ હતી. આજે શ્રાવણનો સોમવાર અને નાગપંચમી હોવાથી લાખોની ભીડ થશે એવી જાણકારી હોવા છતાં સુરક્ષા કર્મચારીઓની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અહીં મોટી કરુણાંતિકા સર્જાઇ હતી. હાલ મંદિરમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ લાવવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ શાંતિથી જળાભિષેક કરી રહ્યા છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઓલરેડી મંદિરમાં દર્શન અને જળાભિષેક કરવા માટે લખો લોકો આવ્યા હતા. એમાં થયું એવું કે એક ખેતરમાં વીજળીનો થાંભલો તૂટી પડ્યો હતો. હવે જે લોકો કતારમાં પાછળ ઊભેલા હતા તેઓએ `વીજળીનો થાંભલો પડી ગયો છે`ની એવી બૂમો પાડવા માંડી હતી. એમાં ત્યાંથી આશરે ૧૦૦ મીટર આગળ જે મહિલાઓ કતારમાં ઊભી હતી તેઓ કરંટ લાગવાના નામે ગભરાઈ ગઈ હતી અને સૌ પોતપોતાનો બચાવ કરવા માટે આમથી તેમ દોડવા (Bihar Temple Stampede) લાગી હતી. આ નાસભાગમાં પાછળનૈયું તરફથી આવી રહેલા ભક્તો તેમની ઉપર થઇને આગળ જવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા અને જેના કારણે આ સ્ટેમ્પીડની સ્થિતિ સર્જાઇ હતી. હવે તો આગળની તપાસ બાદ જ ઘટના અંગે તમામ વિગતો સામે આવશે.