નવી દિલ્હીમાં યોજાયેલા બે દિવસના બ્રિક્સ શિખર સંમેલનનું સમાપન
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી બ્રિક્સ સમિટ ૨૦૨૬ના બીજા દિવસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વિશ્વના અન્ય નેતાઓ સાથે ફૅમિલી ફોટો માટે પોઝ આપ્યો હતો.
નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ (BRICS - બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા) શિખર સંમેલનમાં નેતાઓએ ૪૫ પાનાંના `નવી દિલ્હી ઘોષણાપત્ર`ને અપનાવ્યું હતું; જેમાં આતંકવાદ, વૈશ્વિક સંઘર્ષો, વેપાર, પેમેન્ટ્સ અને સંયુક્ત રાષ્ટ્ર (UN)માં સુધારા અંગેના તેમના વલણને એકત્રિત કરવામાં આવ્યું છે.
- સંઘર્ષોનો ઉકેલ વાતચીત દ્વારા આવવો જોઈએ: બ્રિક્સે ભારતની એ હાકલનું સમર્થન કર્યું કે દેશોએ સંઘર્ષોના મૂળ કારણોને સંબોધિત કરવાની સાથે-સાથે વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષોનો ઉકેલ લાવવો જોઈએ.
- પશ્ચિમ એશિયાના સંઘર્ષ અંગે ચિંતા: આ જૂથે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તનાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને મહત્તમ સંયમ રાખવાની હાકલ કરી હતી. નોંધનીય છે કે ઈરાન પરના હુમલાઓ અંગે આ ઘોષણાપત્રમાં અમેરિકાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
- વૈશ્વિક વેપાર અને ઊર્જાનો પ્રવાહ અવિરત ચાલુ રહેવો જોઈએ: બ્રિક્સે સુચારુ વૈશ્વિક વેપાર, પુરવઠા શૃંખલા અને ઊર્જાના પ્રવાહની હિમાયત કરી હતી અને સાથે જ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રક્રિયાઓ લાગુ પડતા આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ હોવી જોઈએ.
- પહલગામ હુમલાની સખત નિંદા: આ જૂથે ૨૦૨૫માં ૨૨ એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી, જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એણે આતંકવાદ અને એને સમર્થન આપવામાં સામેલ લોકોની જવાબદારી નક્કી કરવાની પણ માગણી કરી હતી.
- આતંકવાદ સામે સંયુક્ત વલણ: બ્રિક્સે આતંકવાદીઓની સરહદ પારની હિલચાલ, આતંકવાદી ધિરાણ અને સુરક્ષિત શેલ્ટરો સામે પગલાં લેવા આહ્વાન કર્યું હતું. એણે એ વાત પર પણ aધર્મ, રાષ્ટ્રીયતા કે સમુદાય સાથે જોડવો જોઈએ નહીં.
- ગાઝા - ફરજિયાત વિસ્થાપન સમાપ્ત કરો: આ જૂથે ગાઝામાં હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને પેલેસ્ટિનિયનોને બળજબરીથી દૂર કરવાના હેતુથી નીતિઓનો અંત લાવવા હાકલ કરી હતી. આ જૂથ શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપે છે જે પેલેસ્ટિનિયનોના અધિકારોનું રક્ષણ કરે છે, જેમાં
સ્વ-નિર્ધારણ અને પરત આવવાનો સમાવેશ થાય છે.
- બ્રિક્સ દ્વારા ટૅરિફનો વિરોધ: આ ઘોષણાપત્રમાં એકપક્ષીય ટૅરિફ અને વેપાર પ્રતિબંધોની ટીકા કરવામાં આવી હતી. એમાં કાર્બન બૉર્ડર ટૅક્સનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જે વિકાસશીલ દેશો માટે અવરોધરૂપ બની શકે છે અને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO)માં વધુ સુધારા કરવાની હાકલ કરવામાં આવી હતી.
- સ્થાનિક ચલણમાં વધુ વેપાર: બ્રિક્સે સ્થાનિક ચલણનો ઉપયોગ કરીને સરહદ-પારની ચુકવણી અને વેપારને સરળ બનાવવા અંગે ચર્ચા કરી હતી, સાથે જ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે દરેક સભ્ય દેશ પોતાની અલગ કાર્યપદ્ધતિ અપનાવી શકે છે.
- ભારત અને બ્રાઝિલને સંયુક્ત રાષ્ટ્ર સુધારાઓ માટે સમર્થન મળ્યું: બ્રિક્સે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં ફેરફારો સહિત સંયુક્ત રાષ્ટ્રના વ્યાપક સુધારાઓને સમર્થન આપ્યું હતું. ચીન અને રશિયાએ પણ ભારત અને બ્રાઝિલને મોટી ભૂમિકા મળે એ માટેના તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
- ચીન 2027માં બ્રિક્સની યજમાની કરશે: આ જૂથે 2027માં ચીનના બ્રિક્સ અધ્યક્ષપદને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
બ્રિક્સ પાસેથી વિશ્વ હવે નક્કર પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ સમિટ ૨૦૨૬ને બીજા અને અંતિમ દિવસે સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સ એના ત્રીજા દાયકામાં પ્રવેશવા જઈ રહ્યું છે અને હવે વિશ્વ આ સમૂહ પાસેથી માત્ર વિચારો અને પ્રતિબદ્ધતાઓ જ નહીં, નક્કર પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સભ્ય દેશો એમના સામૂહિક પ્રયાસો દ્વારા આ અપેક્ષાઓ પર ખરા ઊતરશે. ભારતનું બ્રિક્સ અધ્યક્ષપદ સમાપ્ત થઈ રહ્યું હોવાથી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સમિટને સફળ બનાવવામાં સામેલ ટીમોને અભિનંદન આપ્યાં હતાં અને બ્રિક્સના આગામી યજમાન તરીકે જવાબદારી સંભાળી રહેલા ચીનને શુભેચ્છાઓ આપી હતી. તેમણે સહભાગી નેતાઓ અને પ્રતિનિધિઓની યાત્રા સુખદ અને સુરક્ષિત રહે એવી કામના પણ કરી હતી.