રામ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાયની ડાયરીમાં અનેક ચોંકાવનારા ખુલાસા

27 August, 2026 12:44 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

વિધાનસભાની ચૂંટણી હોવાથી દાનચોરીની જાણ થયા પછી પણ પોલીસમાં ફરિયાદ નહોતી કરવામાં આવી

નૃપેન્દ્ર મિશ્રા અને ચંપત રાય

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર સવાલ ઉઠાવીને કહ્યું, તેમને દાનચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે જ જાણ કરવામાં આવી હતી એમ છતાં તેમણે કોના ઇશારે ૪ દિવસમાં ૧૪ ઇન્ટરવ્યુ આપીને સમાજમાં ખોટો મેસેજ આપ્યો?

રામ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાયે પોતાની ડાયરીમાં ચોંકાવનારી વિગતો જાહેર કરી હોવાની જાણકારી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ડાયરીમાં લખ્યું હતું કે મંદિરમાં દાનચોરી પ્રકાશમાં આવ્યા પછી તરત જ તેમણે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો નહોતો કારણ કે તેમને ડર હતો કે તપાસ લંબાઈ શકે છે અને આની અસર વિધાનસભાની આગામી ચૂંટણી પર પડી શકે છે.

નૃપેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ 
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર ચંપત રાયે સવાલ ઉઠાવ્યા છે. ચંપત રાયે પોતાની ડાયરીમાં કથિત રીતે લખ્યું છે કે ‘નૃપેન્દ્ર મિશ્રા જેવી અનુભવી વ્યક્તિએ ૪ દિવસમાં ૧૪ ચૅનલો સાથે શા માટે અને કોના ઇશારે વાત કરી? તેમણે છેલ્લાં ૬ વર્ષમાં મંદિર નિર્માણ સમિતિની બેઠકો દરમ્યાન ક્યારેય વ્યવસ્થા કે હિસાબની ચર્ચા કરી નથી તો હવે તેમને આ બાબતો પર બોલવાનો શું અધિકાર છે?’ 

એક ન્યુઝ-ચૅનલની મુલાકાતમાં નૃપેન્દ્ર મિશ્રાએ દાનચોરીને લૂંટ ગણાવી હતી. આ મુદ્દે ચંપત રાયે લખ્યું હતું કે ‘નૃપેન્દ્ર મિશ્રાની આવી ભૂમિકાના પગલે સમાજમાં ખોટો સંદેશ ગયો હતો. આથી મારી સાથેની વાતચીત દરમ્યાન એક સંતે નૃપેન્દ્ર મિશ્રાને ખલનાયક કહ્યા હતા.’

સાચો દેશદ્રોહી કોણ છે? 
બીજી તરફ એક જગ્યાએ ચંપત રાયે લખ્યું છે કે ‘કયા માધ્યમથી અને કોણે અખિલેશ યાદવને આ માહિતી પહોંચાડી? સાચો દેશદ્રોહી કોણ છે? આ મારો સૌથી મોટો પ્રશ્ન છે. આ શોધવું જ જોઈએ.’

નૃપેન્દ્ર મિશ્રાને જાણકારી આપી હતી
ડાયરીમાં લખવામાં આવ્યું છે કે દાનચોરીનો મામલો પ્રકાશમાં આવ્યાના બીજા દિવસે ૭ જૂને નૃપેન્દ્ર મિશ્રા અને નૅશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન લિમિટેડ (NBCC)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અનુપ કુમાર અયોધ્યા પહોંચ્યા હતા. તેમની સાથે લગભગ બે કલાક વાતચીત ચાલી હતી. મેં, ભૂતપૂર્વ ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ અને ગોપાલ રાવે ઘટનાઓનો સંપૂર્ણ હિસાબ આપ્યો હતો. નૃપેન્દ્ર મિશ્રાએ પૂછ્યું હતું કે પોલીસમાં FIR કેમ દાખલ કરવામાં આવ્યો નથી. મેં તેમને કહ્યું કે જો કેસ પોલીસને સોંપવામાં આવ્યો હોત તો તપાસ કરવાની અને કાર્યવાહી કરવાની બધી સત્તા પોલીસને મળી હોત. એનું પરિણામ શું આવશે એની આગાહી કરવી મુશ્કેલ હતું.’

અયોધ્યાની ટિકિટ કેમ રદ કરી?
ચંપત રાયે ડાયરીમાં લખ્યું છે કે ‘નૃપેન્દ્ર મિશ્રા ૬ જુલાઈએ ટ્રસ્ટની બેઠક માટે અયોધ્યા આવવાના હતા. તેમની પ્લેનની ટિકિટ પહેલેથી જ બુક થઈ ગઈ હતી. તેમના ડ્રાઇવર રાધેશ્યામને પણ તેમને રિસીવ કરવા માટે જાણ કરવામાં આવી હતી, પરંતુ ૪ જુલાઈએ અચાનક  સંદેશ આવ્યો કે તેમની યાત્રા રદ કરવામાં આવી છે. તેઓ બેઠકમાં હાજર રહ્યા નહોતા. પ્રશ્ન એ ઊભો થાય છે કે નૃપેન્દ્ર કેમ ન આવ્યા?’

નૃપેન્દ્ર મિશ્રાનાં નિવેદનો કેમ બદલાયાં? 
ચંપત રાયે પોતાની ડાયરીમાં નૃપેન્દ્ર મિશ્રાનાં મીડિયા સમક્ષનાં નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. શરૂઆતમાં નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે મારી જવાબદારી મંદિરના નિર્માણ સુધી મર્યાદિત છે, પરંતુ બાદમાં તેમનાં નિવેદનો બદલાઈ ગયાં હતાં. ૨૩ જૂન પછી નૃપેન્દ્ર મિશ્રાનાં નિવેદનો આવવાનું બંધ થઈ ગયું હતું. આ મુદ્દે ચંપત રાયની ડાયરીમાં લખવામાં આવ્યું છે કે ‘આનું કારણ તપાસવું જોઈએ. ૧૪ જુલાઈએ હું અનુપ મિત્તલ સાથે બે કલાક સુધી મળ્યો. મેં તેમને કહ્યું કે સંતો મને પૂછી રહ્યા હતા કે શું નૃપેન્દ્ર મિશ્રા ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે? સંતના પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ નહોતો. તેથી હું તમને કેસની વિગતો આપી રહ્યો છું.’

national news india ram mandir ayodhya