25 March, 2026 08:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન રેલવેએ કન્ફર્મ ટિકિટો માટે અપડેટેડ કૅન્સલેશન ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેમાં ટિકિટ કૅન્સલ કરવાના સમયના આધારે રીફન્ડની રકમનું નવું માળખું રજૂ કરવામાં આવ્યું છે.
ટ્રેન ઊપડતાં પહેલાંના ૭૨થી ૨૪ કલાકની વચ્ચે રદ કરાયેલી ટિકિટના ભાડાના પચીસ ટકા રકમ કપાશે.
ટ્રેન ઊપડવાના ૨૪થી ૮ કલાકની અંદર ટિકિટ રદ કરવામાં આવે તો ટિકિટભાડાના પચાસ ટકા રકમ કપાશે. ટ્રેન ઊપડવાના ૮ કલાકથી ઓછા સમય પહેલાં ટિકિટ રદ કરશો તો કોઈ જ રીફન્ડ નહીં મળે.
૭૨ કલાક પહેલાં ટિકિટ કૅન્સલ થાય તો અગાઉની જેમ દરેક પૅસેન્જરદીઠ ફિક્સ ચાર્જ કાપવામાં આવશે
AC ફર્સ્ટ/એક્ઝિક્યુટિવ ક્લાસમાં ૨૪૦ રૂપિયા
AC ટૂ-ટિયર/ફર્સ્ટ ક્લાસમાં ૨૦૦ રૂપિયા
AC થ્રી-ટિયર/ AC ચૅરકાર/ઇકૉનૉમી ક્લાસમાં ૧૮૦ રૂપિયા
સ્લીપર ક્લાસમાં ૧૨૦ રૂપિયા
સેકન્ડ ક્લાસમાં ૬૦ રૂપિયા
કન્ફર્મ તત્કાલ ટિકિટ રદ કરવા માટે કોઈ રીફન્ડ આપવામાં આવતું નથી.
રિઝર્વેશન અગેઇન્સ્ટ કૅન્સલેશન (RAC)/વેઇટલિસ્ટેડ ટિકિટ ટ્રેન ઊપડવાના ૩૦ મિનિટ પહેલાં રદ કરવામાં
આવે તો કારકુની ચાર્જ ૬૦ રૂપિયા તેમ જ GST બાદ
કર્યા પછી રીફન્ડ આપવામાં આવે છે.
ચાર્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ ઑનલાઇન કૅન્સલેશન
દ્વારા કોઈ રીફન્ડ આપવામાં આવતું નથી.
ભારતીય રેલવેએ ટ્રેનના રિઝર્વેશનનો ચાર્ટ તૈયાર કરવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ રેલવેનો ચાર્ટ તૈયાર કરવાનો સમય ૪ કલાકથી વધારીને નવથી ૧૮ કલાક કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ટ્રેનના લાખો મુસાફરોને ફાયદો થશે. હાલમાં ચાર્ટ ૪ કલાક અગાઉ તૈયાર કરવામાં આવે છે ત્યારે સીટ કન્ફર્મ ન થાય તો મુસાફરોને મુસાફરીની યોજનાઓ રદ કરવામાં અથવા છેલ્લી ક્ષણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે હવે નવથી ૧૮ કલાક અગાઉથી ચાર્ટ તૈયાર કરવામાં આવે તો મુસાફરો તેમના ગંતવ્યસ્થાન સુધી પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકશે.
આ સંદર્ભમાં કેન્દ્રના રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફારો કર્યા છે. ઑનલાઇન ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ૩ કરોડ નકલી ટિકિટ-બુકિંગ અકાઉન્ટ દૂર કરવામાં આવ્યાં છે. આ પગલાથી ટિકિટ-બુકિંગ પહેલાં કરતાં વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ નકલી અકાઉન્ટ દૂર કરવાની સાથે મોટી સંખ્યામાં બ્રોકરોને પણ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.’\
આધાર-આધારિત OTP ફરજિયાત
દલાલો દ્વારા ટિકિટ સંગ્રહખોરી અટકાવવા માટે તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વન ટાઇમ પાસવર્ડ (OTP) ફરજિયાત બનાવવામાં આવ્યો છે. વધુમાં ઈ-ટિકિટ રદ કરવા પર મૅન્યુઅલી ટિકિટ ડિપોઝિટ રિસીટ (TDR) ફાઇલ કરવાની જરૂર નથી. આ પ્રક્રિયા હવે સંપૂર્ણપણે સ્વચાલિત થશે અને રીફન્ડ સીધું ખાતામાં જમા થશે. પહેલાં મુસાફરો ફક્ત ગંતવ્ય સ્ટેશન પર જ તેમની ટિકિટ રદ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ કોઈ પણ સ્ટેશન-કાઉન્ટર પર ટિકિટ રદ કરી શકે છે.
બોર્ડિંગ સ્ટેશન બદલી શકો
ઘણી વાર મુસાફરોએ છેલ્લી ઘડીએ તેમનું બોર્ડિંગ સ્ટેશન બદલવું પડે છે. જોકે હવે મુસાફરો ટ્રેનના પ્રસ્થાનની માત્ર ૩૦ મિનિટ પહેલાં ડિજિટલી તેમનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. આ સુવિધા એક જ શહેરમાં બહુવિધ સ્ટેશનો ધરાવતાં મોટાં શહેરોમાં રહેતા મુસાફરો માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ રહી છે.
ટ્રાવેલ-ક્લાસ ૩૦ મિનિટ પહેલાં અપગ્રેડ થઈ શકશે
કાઉન્ટર ટિકિટ ધરાવતા મુસાફરો હવે ચાર્ટ તૈયાર થયા પછી પણ ટ્રેનના પ્રસ્થાનની ૩૦ મિનિટ પહેલાં સુધી તેમના ટ્રાવેલ-ક્લાસને અપગ્રેડ કરી શકશે.