પૂરના પાણીમાં તણાઈ ગઈ સળગતી ચિતા, ગ્રામજનોએ જીવના જોખમે કાઢ્યો મૃતદેહ

06 July, 2026 09:52 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના જામલા ગામમાં અંતિમ સંસ્કાર દરમ્યાન અચાનક ઘોડાપૂર આવતાં અફરાતફરી સર્જાઈ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના જામલા ગામના ખડાપુરા વિસ્તારમાં ગુરુવારે એક વૃદ્ધના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા ત્યારે અચાનક આવેલા પૂરનાં ધસમસતાં પાણી સળગતી ચિતાને પોતાની સાથે વહાવી ગયાં હતાં. આ સમગ્ર ઘટના ત્યાં હાજર લોકોએ કૅમેરામાં કેદ કરી લીધી હતી. એનો વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે. અહેવાલો અનુસાર ગામના વયોવૃદ્ધ રહેવાસી બાપુસિંહના અવસાન બાદ પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમ સંસ્કાર માટે સ્મશાનભૂમિમાં એકઠા થયા હતા. મુખાગ્નિ આપ્યાના થોડા જ સમયમાં પૂરના પાણીનો જોરદાર પ્રવાહ સ્મશાનમાં ઘૂસી ગયો હતો અને જોતજોતામાં સળગતી ચિતાને વહાવી ગયો હતો.

આ કટોકટીની પળે ત્યાં હાજર ગ્રામજનોએ ભારે હિંમત અને તત્પરતા દાખવી હતી. પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકો પાણીના તોફાની પ્રવાહમાં કૂદી પડ્યા હતા અને નદીમાં વહી રહેલા મૃતદેહને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ આસપાસમાં એક સૂકી અને ઊંચી જગ્યા શોધીને ચિતા ફરીથી ગોઠવવામાં આવી હતી અને ભારે અગવડ વચ્ચે અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પ્રશાસન વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

national news india madhya pradesh monsoon news