આઠમા ધોરણની ટેક્સ્ટ-બુકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિષય પરના પાઠથી બરાબરના ભડકી ઊઠ્યા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા

26 February, 2026 07:03 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે ન્યાયિક સંસ્થાને બદનામ કરવાની અમે મંજૂરી આપી શકીએ નહીં

ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત

નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT)ના આઠમા ધોરણના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિષય પર આપવામાં આવેલા ચૅપ્ટર બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ પગલાને ન્યાયતંત્ર પર ગણતરીપૂર્વકનો અને ઊંડા મૂળવાળો હુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોઈને પણ સંસ્થાની અખંડિતતાને બદનામ કરવા અથવા એના પર પ્રશ્ન ઉઠાવવાની મંજૂરી આપશે નહીં. આ મુદ્દાની જાતે નોંધ લેતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તેમને હાઈ કોર્ટના ન્યાયાધીશો સહિત અનેક ફોન અને સંદેશા મળી રહ્યા છે જેમાં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગઈ કાલે સવારે સિનિયર વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં આ મામલો ઉઠાવતાં કહ્યું હતું કે બારના વરિષ્ઠ સભ્યો શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિષયનો સમાવેશ કરવાથી ખૂબ જ પરેશાન છે.

આ સમયે ચીફ જસ્ટિસે આ મુદ્દાથી પહેલાંથી જ વાકેફ હોવાનું જણાવીને કહ્યું હતું કે ‘હું કોઈને પણ ન્યાયતંત્રની અખંડિતતાને બદનામ કરવા અને એના પર પ્રશ્ન ઉઠાવવાની મંજૂરી આપીશ નહીં. આ મામલો ગમે એટલો ઊંચો પહોંચે, કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટ ન્યાયિક સંસ્થા પર કોઈ હુમલો કરવાની મંજૂરી આપશે નહીં.’

આ દરમ્યાન કોર્ટમાં હાજર રહેલા અન્ય એક વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ દલીલ કરી હતી કે એવું લાગે છે કે ‘એક સંસ્થાને નિશાન બનાવવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર અન્ય ક્ષેત્રોમાં પણ છે, પુસ્તકમાં રાજકારણીઓ, પ્રધાનો, અમલદારો કે અન્ય કોઈ વિશે કોઈ શબ્દ નથી.’

વિવાદ શું છે?

આ વિવાદના કેન્દ્રમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે NCERTનું સામાજિક વિજ્ઞાનનું નવું પાઠ્યપુસ્તક છે જેમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને ભારતમાં ન્યાયિક બૅકલૉગ કટોકટી પર એક વિભાગ સામેલ છે. આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા નામનું પ્રકરણ ધરાવતું આ સુધારેલું પુસ્તક ટૂંક સમયમાં બજારમાં આવવાનું છે. આ પ્રકરણ સમજાવે છે કે સુપ્રીમ કોર્ટ પર લગભગ ૮૧,૦૦૦ પેન્ડિંગ કેસનો બોજ છે જેમાં ન્યાયાધીશોની અછત, જટિલ કાનૂની પ્રક્રિયાઓ અને અપૂરતી માળખાગત સુવિધાઓ જેવાં કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુધારેલા લખાણ મુજબ હાઈ કોર્ટમાં ૬૦ લાખથી વધુ પેન્ડિંગ કેસ છે, જ્યારે નીચલી અદાલતોમાં ૪ કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે.

national news india anti corruption bureau indian government delhi news new delhi Education