13 August, 2026 09:37 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતો અભિજિત દીપકે.
દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના પ્રસ્તાવિત સંમેલન વિશે વિવાદ ઊભો થયા બાદ એણે ફરી એક વાર જંતર મંતર પર આંદોલનનો સંકેત આપ્યો છે. CJPના સ્થાપક અભિજિત દીપકેએ દાવો કર્યો હતો કે પાર્ટીની સભા માટે હૉલ બુક કરાવ્યા બાદ હૉલના માલિકોને ધમકી આપવામાં આવી હતી. આ માટે તેમણે સત્તાધારી BJPને જવાબદાર ઠેરવી હતી. ફરી આંદોલન શરૂ કરવાના મુદ્દે અભિજિત દીપકેએ કહ્યું હતું કે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર પૂછી રહ્યા હતા કે જંતર મંતર પર આંદોલનની બીજી સીઝન ક્યારે શરૂ થશે? હું આવા લોકોને જણાવવા માગું છું કે જંતર મંતરની સીઝન 2 ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે.
દિલ્હીમાં કાર્યક્રમના મુદ્દે અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘CJP દિલ્હીમાં એના કાર્યકરોની બેઠક યોજવાની હતી. પાર્ટી ઘણા સમયથી એના માટે હૉલ શોધી રહી હતી. ઘણી જગ્યાએ હૉલ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હૉલમાલિકોએ જણાવ્યું હતું કે તેમના પર ઉપરથી દબાણ હતું. BJPના નેતાઓનાં નિવેદનો દર્શાવે છે કે તેઓ દેશના યુવાનોથી ડરે છે. જે કોઈ એવું વિચારે છે કે આવાં નાનાં કાર્યો CJPના કાર્યકરોને ડરાવશે તો તેઓ ભૂલ કરે છે.’.