25 August, 2026 11:24 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ જાહેરાત કરી હતી કે પચીસ જુલાઈએ સરકારે આપેલાં વચનોનું પાલન થયું ન હોવાથી પાંચમી સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટથી દિલ્હી પોલીસના મુખ્યાલય સુધી શાંતિપૂર્ણ કૂચ કરવામાં આવશે.
એક મહત્ત્વપૂર્ણ પત્રકાર-પરિષદ પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં પાર્ટીએ જણાવ્યું હતું કે અમે પાંચમી સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટથી નવી દિલ્હી પોલીસના મુખ્યાલય સુધી શાંતિપૂર્ણ વિરોધ-કૂચની જાહેરાત કરીએ છીએ, જેનું નેતૃત્વ નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ના પીડિતો અને પોલીસની બર્બરતાનો ભોગ બનેલા લોકોના પરિવારો કરશે અને એમાં દેશભરના વિદ્યાર્થીઓ અને યુવા નાગરિકો જોડાશે.
સંગઠનની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિએ ગઈ કાલે બપોરે બે વાગ્યે દેશના યુવાનોને આપેલાં વચનો પૂરાં કરવામાં કેન્દ્ર સરકારની કથિત નિષ્ફળતાની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી હતી. સંગઠને સરકાર પર રમત રમવાનો અને ટેક્નિકલ બાબતો આગળ કરીને પચીસ જુલાઈએ આપેલા વચનને અમલમાં મૂકવાને બદલે સ્પષ્ટ પ્રતિબદ્ધતાઓ આપવાનું ટાળવાનો આરોપ મૂક્યો હતો.
CJPના સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે ‘એક મહિનાથી જે વચન આપવામાં આવ્યું હતું એને અમલમાં મૂકવાને બદલે સરકારે વિલંબની રમત રમી છે અને ભારતની સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કમિટમેન્ટ આપવાનું ટાળ્યું છે. કેન્દ્ર સરકારે દેશભરમાં નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ની સૂચિ પ્રદાન કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશના જવાબમાં પ્રતિબદ્ધતા આપવાનો ઇનકાર કર્યો હતો જેથી કોર્ટ એમને એકસાથે રદ કરવાનું વિચારી શકે. ૧૮ ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દેશભરમાં નોંધાયેલા FIRની યાદી આપવા કહ્યું જેથી કોર્ટ એમને એકસાથે રદ કરવાનો વિચાર કરી શકે, જેથી કમિટમેન્ટ પૂરું કરવાનું સરળ બને. છતાં સરકારે આમ કરવા માટે સ્પષ્ટ પ્રતિબદ્ધતા આપવાનો ઇનકાર કર્યો હતો. સરકાર તરફથી CJPને લેખિત ખાતરી પણ આપવામાં આવે. સંગઠનની ધીરજને નબળાઈ ન માનશો. આપણી સદ્ભાવના સરકાર માટે આપણને દગો આપવાની તક ન બની શકે.’
આ મુદ્દે CJPના સહ-કન્વીનર સૌરવ દાસ અને કાનૂની બાબતોનાં નેતા રત્ના સિંહે ચેતવણી આપી હતી કે સંયુક્ત પત્રકાર-પરિષદમાં કરવામાં આવેલાં ગંભીર વચનોના આધારે આંદોલન પાછું ખેંચી લીધા પછી સરકાર આ દેશની યુવા પેઢીને છેતરવાનો પ્રયાસ કરી રહી હોય એવું લાગે છે.