05 June, 2026 09:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અભિજિત દીપકે
‘મને ઍરપોર્ટ પર મળો...’ અમેરિકાથી પોતાના સમર્થકોને આવી ખુલ્લી હાકલ કરી છે ‘કૉક્રૉચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ. NEET-UGના પેપર-લીક અને અન્ય પરીક્ષાઓની ગેરરીતિઓ સામે મોરચો માંડનારા અભિજિત દીપકેએ ૬ જૂને ભારત આવવાની જાહેરાત કરી છે.
તેણે કહ્યું હતું કે હું જાણું છું કે ભારતમાં લૅન્ડ થતાં જ મારી ધરપકડ થઈ શકે છે છતાં હું પાછો આવી રહ્યો છું. અભિજિત દીપકેનો મુખ્ય ઉદ્દેશ વારંવાર પેપર-લીક અને પરીક્ષાઓમાં નિષ્ફળતાને લઈને શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માગણી સાથે શાંતિપૂર્ણ વિરોધનો છે.
ભંડોળ વિશેના આક્ષેપ અને નેપાલ-બંગલાદેશ જેવી જેન-ઝી ક્રાન્તિ ભડકાવવાના આરોપને અભિજિત દીપકેએ નકારી કાઢ્યા છે. પરિવારની ચિંતા કે ધમકી વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસોમાં મને મારી નાખવાની અનેક ધમકી મળી ચૂકી છે. હું એનાથી ડરતો નથી.’
અભિજિત દીપકેના મતે આ લડાઈ માત્ર કોઈ એક પરીક્ષા પૂરતી સીમિત નથી. NEET પેપર-લીક ઉપરાંત CUET, CBSE અને SSC GD જેવી મોટી ભરતી અને પ્રવેશ-પરીક્ષાઓના વિવાદને કારણે દેશના ૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે. તેમનો લાંબા ગાળાનો પ્લાન સરકારની અંદર આ પ્રકારની બેદરકારી માટે જવાબદારી નક્કી કરવાનો છે.
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેના પરિવારના સભ્યોને સોશ્યલ મીડિયા પર મળેલી ધમકીને કારણે છત્રપતિ સંભાજીનગરમાં આવેલા વાળુંજ વિસ્તારના તેના ઘરેથી અજાણ્યા સ્થળે ખસેડવામાં આવ્યા છે. દેશભરના યુવાનોમાં અભિજિતની લોકપ્રિયતા વધતી જતી હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. પરિવારને શિફ્ટ કર્યા પછી પણ પોલીસે પરિવારના નિવાસસ્થાન શંકર સદન પર સુરક્ષા જાળવી રાખી છે.