સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર આરોપ લગાવનારા આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, ટૉઇલેટમાં છુપાઈને જીવ બચાવ્યો

09 March, 2026 02:59 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

તેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે જાતીય શોષણના આરોપ લગાવતા કેસમાં પણ જવાબ દાખલ કરવાનો છે. તેઓ બન્ને કેસનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છે.

અજાણી વ્યક્તિએ આશુતોષ બ્રહ્મચારી પર ટ્રેનમાં બ્લેડથી હુમલો કર્યા બાદ પ્રયાગરાજમાં તેમને મેડિકલ તપાસ માટે લઈ જવાયા હતા.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે બાળકોની જાતીય સતામણીનો કેસ દાખલ કરનારા આશુતોષ બ્રહ્મચારી મહારાજ પર રેવા એક્સપ્રેસ ટ્રેનમાં હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે પ્રયાગરાજમાં સરકારી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ તેઓ પ્રયાગરાજ જઈ રહ્યા હતા ત્યારે કૌશામ્બી જિલ્લાના ફતેહપુર અને સિરાથુ રેલવે-સ્ટેશન વચ્ચે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે આશુતોષ બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે ‘હું રાત્રે શામલીથી ગાઝિયાબાદ પહોંચ્યો હતો અને રેવા એક્સપ્રેસ ટ્રેન દ્વારા પ્રયાગરાજ જઈ રહ્યો હતો. સવારે પાંચ વાગ્યે હું ટૉઇલેટમાં જતો હતો ત્યારે એક યુવકે મારા પર હુમલો કર્યો હતો તેથી મેં ટૉઇલેટમાં પોતાને બંધ કરીને જીવ બચાવ્યો હતો.’ આ હુમલામાં આશુતોષ મહારાજને ઈજાઓ થઈ હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં પ્રયાગરાજ પહોંચ્યા હતા અને પોલીસે પ્રયાગરાજની હૉસ્પિટલમાં તેમની પ્રાથમિક સારવાર કરાવી હતી. આશુતોષ બ્રહ્મચારી મહારાજે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય લોકોનાં કાવતરાખોર તરીકે નામ આપ્યાં છે. આશુતોષ બ્રહ્મચારી મહારાજ મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ સંબંધિત કેસમાં ૧૨ માર્ચે અલાહાબાદ હાઈ કોર્ટમાં સુનાવણી માટે આવ્યા છે. તેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે જાતીય શોષણના આરોપ લગાવતા કેસમાં પણ જવાબ દાખલ કરવાનો છે. તેઓ બન્ને કેસનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છે.

shankaracharya hinduism jihad prayagraj national news government railway police