કૉંગ્રેસને ફરી ઈન્કમ ટેક્સની નોટિસ, ફટકાર્યો અધધધ આટલા હજાર કરોડનો દંડ

29 March, 2024 01:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આવકવેરા વિભાગે ફરી એકવાર કૉંગ્રેસ પાર્ટીને નોટિસ (Congress IT Notice) મોકલી છે. આ નોટિસમાં પાર્ટી પાસેથી 1700 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી છે

ફાઇલ તસવીર

આવકવેરા વિભાગે ફરી એકવાર કૉંગ્રેસ પાર્ટીને નોટિસ (Congress IT Notice) મોકલી છે. આ નોટિસમાં પાર્ટી પાસેથી 1700 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી છે. એબીપીન્યૂઝે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, આવકવેરા વિભાગની ડિમાન્ડ નોટિસ વર્ષ 2017-18થી 2020-21 માટે છે. 1700 કરોડની રકમમાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગની નોટિસે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કૉંગ્રેસની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. કૉંગ્રેસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને 2017-2021 માટે ઈન્કમ ટેક્સ વિભાગના દંડની પુનઃ તપાસની માગણી કરી હતી, પરંતુ કોર્ટે કૉંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. આ પછી પાર્ટીને નોટિસ (Congress IT Notice) મોકલવામાં આવી છે.

હવે કૉંગ્રેસ પાર્ટી વધુ ત્રણ વર્ષની આવકની તપાસ પૂર્ણ થવાની રાહ જોઈ રહી છે. આ તપાસ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કૉંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ આવકવેરા વિભાગની કાર્યવાહી (Congress IT Notice) પર રોક લગાવવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે, આવકવેરા વિભાગની કાર્યવાહી બિનજરૂરી અને લોકશાહી વિરુદ્ધ છે. કૉંગ્રેસનો આરોપ છે કે લોકસભા ચૂંટણી દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટીને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગે રૂા. 135 કરોડની વસૂલાત કરી

આવકવેરા વિભાગે દિલ્હી સ્થિત કૉંગ્રેસ પાર્ટીના બૅન્ક ખાતામાંથી 135 કરોડ રૂપિયાની વસૂલાત કરી લીધી છે. કૉંગ્રેસ ચોક્કસપણે 2018-19 માટે શરત પૂરી કરી શકી નથી. આવકવેરા વિભાગે કોર્ટમાં કહ્યું હતું કે, 520 કરોડ રૂપિયા આકારણીમાં સામેલ નથી. અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને આવકવેરા વિભાગને આવા ઘણા પુરાવા મળ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે પૈસાની લેવડ-દેવડ રોકડ દ્વારા થતી હતી. આમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના નજીકના સંબંધીઓ પણ સામેલ હતા. આવકવેરા વિભાગનું કહેવું છે કે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને એક કંપની સાથે કૉંગ્રેસ પાર્ટીના વ્યવહારો સામે આવ્યા છે, જે નિયમોનું ઉલ્લંઘન છે.

જો નિયમોનું ઉલ્લંઘન થાય છે, તો રાજકીય પક્ષને લોકોનું જૂથ ગણવામાં આવે છે અને આ જૂથને આવકવેરો ચૂકવવો પડે છે. રોકડમાં કરવામાં આવતા વ્યવહારોને પણ આવકનો ભાગ ગણવામાં આવે છે.

૮૪૦ કરોડના કૌભાંડમાં પ્રફુલ પટેલને ૭ વર્ષે રાહત

નૅશ‌નલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રની કૉન્ગ્રેસની આગેવાનીની તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારના સિવિલ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલને કથિત ૮૪૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં રાહત મળી છે. આ મામલાની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પ્રફુલ પટેલ સામેનો કેસ સાત વર્ષે બંધ કર્યો છે. પ્રફુલ પટેલ પર આરોપ હતો કે તેમણે ઍર ઇન્ડિયા માટે વિમાન ખરીદવામાં અધિકારીઓ સાથે મળીને કૌભાંડ કર્યું હતું, જેને લીધે સરકારને ૮૪૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ મામલામાં હવે ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે એટલે પ્રફુલ પટેલને રાહત મળી છે.

congress income tax department delhi high court india national news