07 April, 2026 05:05 PM IST | Assam | Gujarati Mid-day Online Correspondent
હિમંતા બિસ્વા સરમા (ફાઈલ તસવીર)
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની પર પાસપોર્ટ સંબંધિત આરોપો લગાવ્યા બાદ કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડા મુશ્કેલીમાં મુકાયા છે. 7 એપ્રિલના રોજ, આસામ પોલીસે તેમના દિલ્હી નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
કૉંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા પવન ખેડા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની પર ત્રણ પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગે છે.
મંગળવાર, 7 એપ્રિલના રોજ, આસામ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ નિઝામુદ્દીનમાં પવન ખેડાના ઘર પાસે પહોંચી હતી. તેમની પત્નીએ આસામ પોલીસમાં ઉત્પીડનનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી. આસામ પોલીસ આ મામલાની તપાસ માટે તેમના ઘરે આવી છે. દરોડા દરમિયાન દિલ્હી પોલીસની એક ટીમ પણ તેમના નિવાસસ્થાને હાજર છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પત્ની રિંકી ભુયાન પર આરોપ લગાવતા પવન ખેડાએ કહ્યું, "અમારી પાસે એવા દસ્તાવેજો છે જે દર્શાવે છે કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પત્ની રિંકી ભુયાન શર્મા પાસે ત્રણ પાસપોર્ટ છે. પહેલો પાસપોર્ટ યુએઈ ગોલ્ડન કાર્ડ છે, બીજો પાસપોર્ટ એન્ટિગુઆ અને બાર્બુડાનો છે અને ત્રીજો ઇજિપ્તનો પાસપોર્ટ છે. આમાંથી બે પાસપોર્ટ ઇસ્લામિક દેશોના છે, છતાં તેઓ જાહેરમાં પોતાના ધાર્મિક જોડાણનો દાવો કરવાનું ચાલુ રાખે છે."
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ તેમની પત્ની સામેના આરોપોને ફગાવી દેતા ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "પવન ખેડા પવન પેડા બનશે. આ કૉંગ્રેસના નેતાના નામ પર એક નાટક છે, જેમાં કોઈ મીઠાશ નથી."
તેમણે કહ્યું કે તેઓ કૉંગ્રેસના નેતા સામે માનહાનિનો કેસ દાખલ કરશે. બિસ્વા શર્મા 2015 માં કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. સુપ્રીમ કોર્ટે સોમવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના વાઇરલ વિડિયો સામે કાર્યવાહી કરવાની માગણી કરતી અરજી સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. આ વિડિયોમાં મુખ્ય પ્રધાન એક ખાસ સમુદાયના સદસ્યો સામે રાઇફલથી નિશાન તાકીને ફાયરિંગ કરતા દેખાય છે. ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની સંયુક્ત બેઠકે પિટિશનર્સની અરજી સાંભળવાની ના પાડતાં કહ્યું હતું કે ‘ચૂંટણી પહેલાં કોર્ટના દરવાજા ખટખટાવવાનો હવે ટ્રેન્ડ પડી ગયો છે. કોર્ટને પ્લેગ્રાઉન્ડ ન બનાવશો. આ મુદ્દો ઉઠાવવો હોય તો ગુવાહાટી હાઈ કોર્ટમાં જઈ શકો છો.’
આસામમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એનો ઉલ્લેખ કરતાં જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે ‘સમસ્યા એ છે કે ચૂંટણીનો એક હિસ્સો ચૂંટણી પહેલાં લડાતો હોય છે. અમે પાર્ટીઓને સંયમ રાખવાનું અને સંવિધાનની નૈતિક સીમાઓમાં રહેવાનું કહીશું, કેમ કે ચૂંટણી પહેલાં આવા મામલાઓ ઉઠાવવાનો હવે ટ્રેન્ડ બની રહ્યો છે. અમે અરજીકર્તાઓને રાહત આપવાની કોશિશ કરીશું તો પણ આ શૉર્ટકટ ઠીક નથી.’