27 April, 2024 02:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાએ માનવાધિકારોના ઉલ્લંઘન પર જાહેર કરેલા એક રિપોર્ટને ભારતે નકારી દીધો છે. આ રિપોર્ટમાં અમેરિકાએ મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરીને માનવાધિકારોનું હનન થયાનો દાવો કર્યો છે.
૮૦ પાનાંના આ રિપોર્ટને ભારતે ખોટો અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગઈ કાલે કહ્યું હતું કે આ રિપોર્ટ દર્શાવે છે કે અમેરિકાની ભારતને લઈને સમજણ બરાબર નથી, અમે આ રિપોર્ટને કોઈ મહત્ત્વ આપતા નથી અને તમે (પત્રકારો) પણ એમ જ કરો.
અમેરિકાએ ૨૨ એપ્રિલે જાહેર કરેલા રિપોર્ટમાં ભારતના સંદર્ભમાં જણાવ્યું હતું કે ‘મણિપુરમાં મૈતઈ અને કુકી સમુદાય વચ્ચે જાતીય હિંસામાં માનવાધિકારોનું હનન થયું છે. ત્રણથી ૧૫ નવેમ્બર વચ્ચે ૧૭૫થી વધારે લોકો માર્યા ગયા હતા અને ૬૦,૦૦૦ લોકો વિસ્થાપિત થયા હતા. ભારતમાં તાનાશાહી વધી ગઈ છે. ભારતમાં મુસલમાનો પર પણ હુમલા વધી રહ્યા છે અને લઘુમતી કોમ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.’