19 December, 2025 10:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી હાઈ કોર્ટે બુધવારે કહ્યું હતું કે જ્યારે પરસ્પરની સહમતીથી છૂટાછેડા લેવામાં આવી રહ્યા હોય ત્યારે પતિ-પત્નીએ એક વર્ષ સુધી અલગ રહેવાની શરતનું પાલન કરવું અનિવાર્ય નથી. કોર્ટે કહ્યું હતું કે ‘હિન્દુ મૅરેજ ઍક્ટ (HMA), ૧૯૫૫ અંતર્ગત બનાવેલી આ શરતને યોગ્ય કેસોમાં માફ કરી શકાય છે. પતિ-પત્નીને લગ્નના બંધનમાંથી મુક્ત કરવાને બદલે તેમને એક ખોટા સંબંધમાં જકડી રાખવાનું ખોટું કહેવાશે. આમ કરવાથી બન્ને પર બિનજરૂરી મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક તનાવ પેદા થશે.’
આ સ્પષ્ટીકરણ એક ડિવિઝન બેન્ચ દ્વારા અપાયેલા એક નિર્ણયના સંદર્ભમાં આપવામાં આવ્યું હતું. આ અધિનિયમ અંતર્ગત પરસ્પર સહમતીથી છૂટાછેડા લઈ રહેલા લોકોની અરજીની સમયસીમા પર માર્ગદર્શન માગ્યું હતું. જસ્ટિસ નવીન ચાવલા, અનુપ જયરામ ભંભાણી અને રેણુ ભટનાગર એમ ત્રણ જજોની બેન્ચે કહ્યું હતું કે છૂટાછેડા પહેલાં એક વર્ષ અલગ રહેવાની કાનૂની શરત એ સૂચન છે, અનિવાર્યતા નહીં.
કોર્ટે કહ્યું હતું કે ‘કેટલાક કિસ્સાઓમાં જો લગ્નસંબંધ પૂરો થવામાં વધુ વાર લાગે તો પતિ કે પત્નીમાંથી એક કે બન્નેને આગળ જઈને નવા અને સ્થિર સંબંધો બનાવવાનો અવસર નથી મળી શકતો. તેમનાં ફરીથી લગ્ન કરવાની અને સમાજમાં સામાન્ય જીવન જીવવાની સંભાવના પર સ્થાયી અસર પડી શકે છે.’