25 August, 2026 11:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ગઈ કાલે થયેલા ભારે વરસાદ અને જોરદાર પવનના કારણે જનજીવન ખોરવાયું હતું અને રસ્તાઓ જળબંબાકાર થયા હતા. ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ અને ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૩૯૭ ફ્લાઇટ મોડી પડી હતી અને ૨૬ ફ્લાઇટને કૅન્સલ કરવાની ફરજ પડી હતી. ૩ ઇન્ટરનૅશનલ સહિત ૧૫ ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. ૧૨ ફ્લાઇટને જયપુર, બેને ચંડીગઢ અને એકને લખનઉ ડાઇવર્ટ કરવામાં આવી હતી.
ગુરુગ્રામ અને ફરિદાબાદ માટે ઑરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ગુરુગ્રામના અધિકારીઓએ ઑફિસો, સ્કૂલો અને અન્ય સંસ્થાઓને આજે વર્ક ફ્રૉમ હોમની મંજૂરી આપવાની સલાહ આપી છે. ગુરુગ્રામના ઇસ્લામપુર ગામ નજીક સોહના રોડની સર્વિસ લેન પર ભારે વરસાદને કારણે લગભગ બે ફુટ પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાઈ જવાથી ટ્રાફિકની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને લગભગ ૪ કિલોમીટર સુધી ટ્રાફિક જૅમ થઈ ગયો હતો, વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યાં હતાં.
દિલ્હીમાં થોડા કલાકના વરસાદમાં સદર બજાર અને શનિ બજારમાં પાણી દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
ઉત્તર પ્રદેશમાં પણ પૂર જેવી સ્થિતિ
મધ્ય પ્રદેશના જબલપુર, ચંબલ લઅને નર્મદાપુરમાં ભારે વરસાદને કારણે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યો.
ઉત્તર પ્રદેશમાં ૧૯ જિલ્લાઓમાં પૂર જેવી હાલત છે. પ્રયાગરાજના દારાગંજ ઘાટનું સ્મશાન ડૂબી જતાં રોડ પર અંતિમ સંસ્કાર કરવા પડ્યા.
છત્તીસગઢમાં મુંગેલી ગામમાં પગપાળા જઈ રહેલી એક મહિલા પર વીજળી પડતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી.