06 September, 2026 08:55 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઘટનાના વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: X)
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઇમારત સાઉથ કૅમ્પસ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. આ ઇમારતમાં પેઇંગ ગૅસ્ટ (PG) સુવિધા હતી જ્યાં દિલ્હી યુનિવર્સિટીની વિવિધ કૉલેજોના વિદ્યાર્થીઓ રહેતા હતા. આ ઘટના બપોરે 1:30 વાગ્યાની આસપાસ બની હતી. અત્યાર સુધીમાં, આઠ ઘાયલ વિદ્યાર્થીઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર માટે એઇમ્સ અને સફદરજંગ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એઇમ્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાર ઘાયલોને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે; બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એવી આશંકા છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.
ઘટના બાદ, નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), દિલ્હી ફાયર સર્વિસિસ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓ અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ બચાવ કાર્યમાં મદદ કરી હતી. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે ઇમારતના ભોંયરામાં બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું. એવી શંકા છે કે આ પ્રક્રિયા દરમિયાન એક થાંભલામાં તિરાડ પડી હતી, જેના કારણે ઇમારત ધરાશાયી થઈ હતી. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ વિગતવાર તપાસ પછી જ જાણી શકાશે.
સ્થાનિકોના મતે, આશરે 80 ચોરસ યાર્ડના પ્લોટ પર બનેલી આ ઇમારત જૂની હતી. જર્જરિત હાલત અને પૂરતા માળખાકીય થાંભલાઓના અભાવે તે ઘણા વર્ષોથી ખાલી હતી. ભૂગર્ભ માળ પર દુકાનો હોવા છતાં, ભાડૂઆતો મળી શક્યા ન હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે, એક કંપનીએ મિલકત ભાડે લીધી, સમારકામ હાથ ધર્યું અને પીજી સુવિધા શરૂ કરી. આ વર્ષે ત્યાં રહેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સત્ય નિકેતન દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કૅમ્પસની નજીક આવેલું છે, જ્યાં શ્રી વેંકટેશ્વર કૉલેજ, આત્મા રામ સનાતન ધર્મ કૉલેજ, મોતીલાલ નેહરુ કૉલેજ, આર્યભટ્ટ કૉલેજ, જીસસ એન્ડ મેરી કૉલેજ અને મૈત્રેયી કૉલેજ જેવી સંસ્થાઓ આવેલી છે. વિદ્યાર્થીઓની માગને કારણે આ વિસ્તારમાં પીજી રહેઠાણોની સંખ્યામાં વધારો થયો છે.
આ ઘટના ૩૦ મેના રોજ સૈદુલજાબમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થયાના લગભગ ત્રણ મહિના પછી બની છે. તે અકસ્માતમાં છ મૅડિકલ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે નજીકના મંદિરની છત પરથી બચાવ કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. મંત્રી કપિલ મિશ્રા, ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ અને સ્થાનિક ધારાસભ્ય અનિલ શર્મા પણ ઘટનાસ્થળે હાજર હતા. રેખા ગુપ્તાએ અધિકારીઓને ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.