દ્રૌપદી મુર્મુ માટે શક્તિપ્રદર્શન

25 June, 2022 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક નેતાઓની હાજરીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા સંસદભવન જઈ રહેલાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને તેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ, બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓ. પી.ટી.આઇ.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન દ્વારા પસંદ કરાયેલાં દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે એ સમયે શાસક પાર્ટી અને ગઠબંધનના અનેક નેતાઓ હતા. આ રીતે એક રીતે તેમની ઉમેદવારીના સમર્થનમાં શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. 
મુર્મુએ રાષ્ટ્રપતિના પદ માટે ૧૮ જુલાઈએ થનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના શાસક પાર્ટીના સિનિયર નેતાઓ તેમ જ અનેક મુખ્ય પ્રધાનો, ગઠબંધન પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત હતા. પીએમ મોદી તેમના પ્રથમ પ્રસ્તાવક હતા અને તેમણે રિટર્નિંગ ઑફિસર પીસી મૂડીને ઉમેદવારી પેપરો સોંપ્યાં હતાં. 
મુર્મુના નોમિનેશનને સપોર્ટ આપવા માટે વાયએસઆર કૉન્ગ્રેસ અને બીજુ જનતા દળના નેતાઓ પણ સંસદમાં હાજર હતા. ઉપરાંત એઆઇએડીએમકેના નેતા ઓ. પનીરસેલ્વમ અને એમ થમબિદુરાઈ તેમ જ જેડી (યુ)ના રાજીવ રંજન સિંહ પણ ઉપસ્થિત હતા. જો મુર્મુ જીતશે તો તેઓ આ પદ પર સૌપ્રથમ મહિલા આદિવાસી નેતા હશે. વિપક્ષોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાની પસંદગી કરી છે. તેઓ ૨૭ જૂને ઉમેદવારી નોંધાવે એવી શક્યતા છે. 

મુર્મુએ સોનિયા, પવાર અને મમતા સાથે વાત કરી 

દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના શરદ પવાર અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની સાથે ફોન પર વાત કરી હતી અને પોતાની ઉમેદવારી માટે તેમનો સપોર્ટ માગ્યો હતો. આ ત્રણેય નેતાઓએ મુર્મુને શુભેચ્છા પાઠવી હતી. મુર્મુ આદિવાસી નેતા હોવાથી કેટલીક પાર્ટીઓએ તેમને સપોર્ટ જાહેર કર્યો છે. જેના લીધે તેઓ જીતે એવી શક્યતા વધારે છે. 

national news