21 October, 2021 05:16 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)
ગુરુવારે મળેલી મોદી કેબિનેટની બેઠકમાં દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર આપવામાં આવ્યા છે. કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી, કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 31 ટકા થઈ જશે. આ વધેલા નવા દર 1 જુલાઈથી લાગુ થશે.
ગયા મહિને 28 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત અને પિયુષ ગોયલે વિવિધ પ્રોજેક્ટ, નીતિઓ અને સરકારી ઘોષણાઓના અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશન પૂર્વે, તમામ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને સરકારી યોજનાઓની પ્રગતિને સુધારવા અને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉ બેઠક દરમિયાન, 14 સપ્ટેમ્બરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યક્ષમતા અને સમય વ્યવસ્થાપન અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. 14મી સપ્ટેમ્બરે મંત્રી પરિષદની બેઠક પછી, સૂત્રોએ કહ્યું હતું કે તે `ચિંતન શિબિર` જેવું છે અને શાસનને વધુ સુધારવા માટે આવા વધુ સત્રો યોજાશે. ચિંતન શિબિરમાં પીએમ મોદીએ ભાર મૂક્યો હતો કે સાદું જીવન જીવવાની રીત છે. આ બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને તેમના સહકર્મીઓની શ્રેષ્ઠ વસ્તુઓ અપનાવવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જ કોરોનાની બીજી લહેર બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૧૧ ટકા વધારવામાં આવ્યું હતું અને હવે ફરી તેમાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.