આસનસોલમાં વર્ષોથી બંધ રહેતું દુર્ગામાતાનું મંદિર કાયમી ધોરણે ખોલી નાખવામાં આવ્યું

06 May, 2026 07:23 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

આસનસોલ ઉત્તરની બેઠક પર BJPના ઉમેદવાર કૃષ્ણેન્દુ મુખરજીએ આપ્યું હતું પ્રૉમિસ

પશ્ચિમ બર્ધમાન જિલ્લાના આસનસોલમાં વર્ષોથી વિવાદને કારણે બંધ પડેલું મા દુર્ગાનું મંદિર ખોલવામાં આવ્યું હતું.

BJPએ પશ્ચિમ બર્ધમાન જિલ્લાની તમામ ૯ બેઠકો જીતી લેતાં આસનસોલમાં વર્ષોથી બંધ રહેતું દુર્ગામાતાનું મંદિર કાયમી ધોરણે સોમવારે રાત્રે ખોલી નાખવામાં આવ્યું હતું. ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ પૂજા કરીને દેવી દુર્ગાની સ્તુતિમાં મંત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે મંદિર તેમની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. 

ઉત્તરની બેઠક પર BJPના ઉમેદવાર કૃષ્ણેન્દુ મુખરજીએ વચન આપ્યું હતું કે જો અમે જીતીશું તો આ મંદિર કાયમી ધોરણે ૩૬૫ દિવસ માટે ખોલી નાખવામાં આવશે. મુખરજીએ ૧,૦૪,૫૧૬ મત મેળવ્યા હતા અને તૃણમૂલ કૉન્ગ્રેસના મોલોય ઘટકને ૧૧,૬૧૫ મતથી હરાવ્યા હતા. આ બેઠક પર BJPનો આ પહેલો વિજય હતો. ૨૦૧૧થી તૃણમૂલનો આ બેઠક પર કબજો હતો. અગાઉ કલ્યાણ બૅનરજી ૨૦૦૧માં તૃણમૂલના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટાયા હતા. આ વિસ્તાર અને વિધાનસભા મતવિસ્તાર તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહાના મતવિસ્તારમાં આવે છે.

મંદિરના દરવાજા કેમ બંધ હતા?

આ દુર્ગા મંદિર આસનસોલના બાસ્ટિન બજારમાં આવેલું છે. શ્રી-શ્રી દુર્ગામાતા ચૅરિટેબલ ટ્રસ્ટની માલિકીના દુર્ગા મંદિરના દરવાજા વર્ષોથી બંધ હતા. આ મંદિર ઘણાં વર્ષોથી વિવાદમાં ફસાયેલું હોવાથી અહીં નિયમિત પૂજાસેવા થતી નહોતી. ફક્ત દુર્ગાપૂજા અને લક્ષ્મીપૂજા જેવા મુખ્ય તહેવારો દરમ્યાન દરવાજા ખોલવામાં આવતા હતા. બાકીના વર્ષ દરમ્યાન એ બંધ રહેતા હતા. મંદિરના દરવાજા ખોલવાને એક મોટા પ્રતીકાત્મક પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.

national news india west bengal political news religious places bhartiya janta party bjp bharatiya janata party