31 July, 2021 04:56 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
તિરુવનંતપુરમ એરપોર્ટ પર આજે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સાઉદી અરેબિયા માટે ઉપડી હતી. ટેક ઓફ કર્યા બાદ કાચમાં તિરાડ હોવાની જાણ થતાં ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે સવારે 7.52 વાગ્યે ટેક ઓફના એક કલાકની અંદર પાયલોટે કાચમાં તિરાડ જોયા બાદ તિરુવનંતપુરમ પરત ફરવાનો નિર્ણય કર્યો. આ પછી વિમાન સવારે 8.50 વાગ્યે કટોકટીમાં એરપોર્ટ પર ઉતર્યું હતુ.
કોવિડ -19 પ્રતિબંધોને કારણે કેટલાક સ્થળોની આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધને કારણે વિમાનમાં મુસાફરો નહોતા. પરંતુ તે માલ પરિવહનમાં રોકાયેલ વિમાન હતું. જો કે તેમણે જણાવ્યું હતું કે વિમાનમાં ક્રૂ ના આઠ સભ્યો સવાર હતા.
તિરુવનંતપુરમ એરપોર્ટના ડાયરેક્ટર સીવી રવીન્દ્રને કહ્યું કે પાયલોટ સહિત તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. તેમણે કહ્યું કે પહેલા વિમાનના કાચમાં કોઈ તિરાડ હતી નહીં, એનો મતલબ કે ઉડાન દરમિયાન જ ફ્લાઈટ તિરાડ પડી હશે. અધિકારીએ વધુમાં કહ્યું કે વિમાન `વંદે ભારત મિશન` હેઠળ ભારતીય મુસાફરો સાથે સાઉદી અરેબિયાના દમમાનથી પરત આવવાનું હતું.