17 July, 2026 06:47 PM IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
મૌલાના જરજિસ અન્સારી
મૌલાના જરજિસ અન્સારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મોટો વિવાદ ઊભો થયો છે. વીડિયોમાં મૌલાના એવો દાવો કરતા જોવા મળી રહ્યા છે કે ભગવાન શ્રીકૃષ્ણ મુસ્લિમ હતા અને તેઓ દિવસમાં પાંચ વખત નમાઝ પઢતા હતા. આ નિવેદન બાદ અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું અને લખનઉમાં તેમની સામે FIR નોંધાવવામાં આવી. કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો 23 જૂને ઝારખંડમાં આપવામાં આવેલા એક ધાર્મિક સંબોધનનો છે, જે હવે કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ મસ્જિદ વિવાદ વચ્ચે ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારબાદ હિન્દુ સંતો અને જમણેરી સંગઠનોએ આ નિવેદનને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનાર ગણાવીને મૌલાનાની ધરપકડ કરવાની માગ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોના અનુસાર, મૌલાના જરજિસ અન્સારીએ ભગવદ ગીતાના અધ્યાય 6 ના શ્લોક 10 નો હવાલો આપીને દાવો કર્યો કે ભગવાન શ્રીકૃષ્ણ પોતે દિવસમાં પાંચ વખત નમાઝ પઢતા હતા. તેમણે એમ પણ કહ્યું કે જો હિન્દુઓ પોતાના ધર્મગ્રંથોનો યોગ્ય રીતે અભ્યાસ કરશે તો તેઓ ‘ઇસ્લામને પ્રેમ કરવા લાગશે.’ તેમણે એવો પણ દાવો કર્યો કે ઇસ્લામનો ઉપદેશ માત્ર પયગંબર મોહમ્મદે જ નહીં, પરંતુ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણે પણ આપ્યો હતો. જોકે, ભગવદ ગીતા ના અધ્યાય 6 ના શ્લોક 10 ના સ્વીકૃત અનુવાદમાં ધ્યાન, આત્મસંયમ અને સાંસારિક ઇચ્છાઓથી વિરક્તિની વાત કરવામાં આવી છે. આ શ્લોકમાં ઇસ્લામ, નમાઝ અથવા દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરવાનો કોઈ ઉલ્લેખ નથી.
વિવાદ વધ્યા બાદ અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્યોએ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને મૌલાના સામે કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી. પોલીસે ફરિયાદના આધારે FIR નોંધાવી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
આ વિવાદ પર અયોધ્યાના મહામંડલેશ્વર વિષ્ણુ દાસે મૌલાના પર ભગવદ ગીતાની ખોટી વ્યાખ્યા કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, "જે કોઈ તેની જીભ કાપી નાખશે, તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેણે ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તેને સંસ્કૃતનો એક પણ શબ્દ આવડતો નથી અને તે ભગવદ ગીતા ના શ્લોકોની ખોટી વ્યાખ્યા કરી રહ્યો છે." બીજી તરફ, ભાજપના નેતા મનીષ શુક્લાએ આ નિવેદનને ‘એક ષડયંત્ર’ ગણાવ્યું અને સમગ્ર મામલાની તપાસ કરવાની માગ કરી. શ્રીકૃષ્ણ જન્મા ટ્રસ્ટના અધ્યક્ષ દિનેશ ફલાહારીએ પણ મૌલાના સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે જણાવ્યું છે કે મામલાની તપાસ ચાલુ છે.