05 August, 2021 08:16 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
કોરોના પ્રતિબંધાત્મક રસી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટવાની શક્યતા છે, પરંતુ આ તમામ વયના લોકો માટે લાગુ પડશે નહીં. નવા શિડ્યુલ મુજબ 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ નવા નિયમ લાગુ થશે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો મુજબ આ બાબતના સંકેત કેન્દ્રના નિષ્ણાતે આપ્યા છે.
સરકાર ફરી કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત ઘટાડી શકે છે, પરંતુ આ વખતે તે માત્ર 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે હશે. આ સંદર્ભે આગામી બેઠી ચ અઠવાડિયામાં નિર્ણય લેવાય શકે છે તેવી માહિતી કોવિડ - 19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડૉ. એન. કે. અરોરાએ વાતચીત દરમિયાન એક મીડિયા હાઉસને આપી હતી.
હાલમાં કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર તમામ લોકો માટે 12થી 16 અઠવાડિયાનું છે. ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆતમાં, કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર માત્ર 4-6 સપ્તાહ હતું, જે વધારીને 4થી 8 સપ્તાહ અને બાદમાં 12થી 16 સપ્તાહ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેશમાં જ્યારે રસીની અછત હતી ટે દરમિયાન બે ડોઝ વચ્ચેનું અંતર 12થી 16 સપ્તાહ સુધી વધારવાના નિર્ણયની ટીકા થઈ હતી. જોકે, નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય અભ્યાસો પર આધારિત છે, જે મુજબ ડોઝ વચ્ચે લાંબા અંતરથી વધુ એન્ટિબોડીઝ બને છે.