ઉજ્જ્વલા યોજનાના નામે ધંધા ચાલતા હતા એટલે સિલિન્ડર ઘટાડી દીધાં

11 June, 2026 08:34 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સબસિડીવાળાં ગૅસ-સિલિન્ડર કમર્શિયલ હેતુ માટે વેચી દેવાતાં હોવાના પુરાવા મળ્યા એટલે સરકારે નિર્ણય લેવો પડ્યો એમ કહ્યું મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ

હરદીપ સિંહ પુરી

પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના (PMUY) હેઠળ સબસિડીવાળાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરની વાર્ષિક મર્યાદા નવથી ઘટાડીને ૪ કરવાના સરકારના નિર્ણયની ચોતરફ ટીકા થઈ રહી છે. જોકે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગૅસપ્રધાન હરદીપ સિંહ પુરીએ બુધવારે આ અંગે ખુલાસો કર્યો હતો. હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી કે કેટલીક જગ્યાએ આ યોજનાનો મોટા પાયે દુરુપયોગ થતો હોવાને કારણે સરકારે આ કડક પગલું ભરવું પડ્યું છે.

એક ઇન્ટરવ્યુ દરમ્યાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ‘સરકારને એવા વિશ્વસનીય પુરાવા મળ્યા છે કે ગરીબ પરિવારોને વાર્ષિક ચારથી વધુ સિલિન્ડરની વાસ્તવિક જરૂરિયાત જ નથી. કેટલાક લાભાર્થીઓ સરકાર તરફથી મળતી ૩૦૦ રૂપિયાની સબસિડીવાળું સિલિન્ડર લઈને એને બારોબાર કમર્શિયલ હેતુ માટે ડાયવર્ટ કરી રહ્યા હતા અથવા અન્ય લોકોને વધુ ભાવે વેચીને ગેરકાયદે નફો કમાતા હતા. આ પ્રકારની ગેરરીતિઓ સામે આવ્યા બાદ સરકારે સિલિન્ડરના વપરાશની પૅટર્નનો અભ્યાસ કરીને આ નવો નિયમ લાગુ કર્યો છે.’

ગરીબ મહિલાઓને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવાના ઉદ્દેશ મામલે સરકાર પ્રતિબદ્ધ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસન મૉડલની પ્રશંસા કરતાં હરદીપ સિંહ પુરીએ નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી અભિગમની પણ સરાહના કરી હતી અને કહ્યું હતું કે દેશના મતદારો ગ્રાઉન્ડ લેવલ પર થતા વિકાસ અને યોજનાઓની સચોટ ડિલિવરીને જોઈને જ વારંવાર BJP સરકારને પસંદ કરે છે.

national news india indian government petroleum lpg cylinder lpg crisis